સચિન જીઆઈડીસીમાં રોજ 6 ટેન્કર દૂષિત પાણી સીધું ગટરમાં, કોંગ્રેસે 10 સભ્યોની સત્ય શોધક તપાસ સમિતિ રચી

ગાંધીનગર: તાજેતરમાં સુરતમાં (Surat) સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) ખાડીમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાંચ કામદોરોના મોત (Dead) નીપજ્યા હતા. આ સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને હવે ગુજરાત (Gujarat) કોંગ્રેસ (Congress) દ્વારા 10 સભ્યોની એક સત્ય શોધક સમિતિની રચના કરાઈ છે. આ કમિટી સચિન સહિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે એટલુ જ નહીં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને આગામી સાત દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે, આ દસ સભ્યોની કમિટીના કન્વીનર પદે અર્જુન મોઢવાડિયાની વરણી કરાઈ છે. જ્યારે કમિટીના અન્ય સભ્યોમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, પુંજાભાઈ વંશ, વિક્રમ માડમ, અમી યાજ્ઞિક, ડૉ. પ્રભાબેન તાવીયાડ, જીગ્નેશ મેવાણી, સી.જે. ચાવડા અને અનંત પટેલનો સમાવેશ થાય છે.

આજે આ 10 સભ્યોની કમિટીની જાહેરત કરતાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક જીવલેણ અકસ્માતો, પ્રદૂષણના લીધે પ્રજાજનોના જીવન સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતમાં 31,500થી વધુ ફેક્ટરીઓ છે, જે 16.93 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે. સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં સૌથી વધુ કામદારોના મૃત્યુ થયા છે. મોટાભાગના કામદારો ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના સ્થળાંતરિત છે. સચિન જીઆઈડીસીમાં લગભગ 50 ટેક્સટાઈલ ડાઈંગ અને પ્રિન્ટીંગ મિલો અને 40થી વધુ કેમિકલ યુનિટ અને કેટલાક પાવર લૂમ યુનિટ છે. અહેવાલો દર્શાવે છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આશિર્વાદથી ફરજિયાત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોખમી કેમિકલની ટ્રીટમેન્ટ કર્યા વિના ઝેરી રાસાયણિક કચરાથી ભરેલી 5-6થી વધુ ટ્રક-ટેન્કર ગેરકાયદેસર રીતે દરરોજ શહેરના ગટરોમાં ખાલી કરવામાં આવે છે. યુનિટના માલિકો અને જીઆઈડીસી સત્તાધીશો વચ્ચેની સાંઠગાંઠને કારણે સત્તાવાળાઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યાં છે. ઔદ્યોગિક દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની અંદર અનેક ઔદ્યોગિક અકસ્માતો અને હાનિકારક ઝેરી રસાયણોના કારણે કુલ 989 કામદારો મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુમાં 42 ટકા જેટલો હિસ્સો ઉત્તરમાં મહેસાણાથી દક્ષિણમાં વાપી સુધીના “ગોલ્ડન કોરિડોર” પર સ્થિત સુરત, અમદાવાદ અને ભરૂચ જિલ્લામાં કાર્યરત ફેક્ટરી કામદારોના મૃત્યુનો છે.

સાબરમતી, તાપી, વિશ્વામિત્રી સહિત ૨૦ કરતા વધુ નદી સૌથી વધુ પ્રદૂષિત
રાજ્યમાં સાબરમતી, તાપી, વિશ્વામિત્રી સહિત ૨૦ કરતા વધુ નદી સૌથી વધુ પ્રદૂષિત છે. પ્રદૂષિત પાણીના કારણે માનવ જીંદગીની સાથોસાથ ખેડૂતો અને ખેતી બન્ને મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. પશુધનને મોટી મુશ્કેલી છે તેમ છતાં ભાજપ સરકાર પગલા ભરવામાં આંખ આડા કાન કરી રહી છે. ઉદ્યોગો એ ગુજરાતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, પરંતુ આ રસાયણોની હાનિકારક અસરોને કારણે લાખો ગુજરાતીઓનું રોજિંદુ જીવન જોખમમાં ન આવે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પ્રક્રિયાઓ અનુસરવામાં આવે તે મહત્વનું છે. યોગ્ય પ્રક્રિયા ન કરાયેલો રાસાયણિક કચરો ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરી રહ્યો છે અને ગુજરાતીઓમાં ઘણા લાંબાગાળાના રોગોમાં વધારો કરી રહ્યો છે, તેમ ઠાકોરે કહ્યું હતું.

Most Popular

To Top