SURAT

સુરતની આ રેસ્ટોરેન્ટએ લગાવ્યું ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ નું બેનર, બજરંગ દળે બાળી નાંખ્યું

સુરત: (Surat) સુરત શહેરના રિંગરોડ (Ring Road) વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની (Pakistani Food Festival) જાહેરાત કરતા બેનર લાગતા ભારે વિવાદ થયો હતો. બજરંગ દળના (Bajrang Dal) કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધા હતા. સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી પણ આપવામાં આવી હતી. દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે કે હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલ આ રેસ્ટોરન્ટના સંચાલકો અવારનવાર વિવિધ ખાણીપીણી અને વ્યંજનોને લઈ બેનર લગાવે છે. જેમાં તેમણે મોટું બેનર લગાવી પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલ અંગેની જાહેરાત કરી હતી. આ અંગેની જાણ બજરંગ દળને થતાં બજરંગ દળ દ્વારા રેસ્ટોરન્ટવાળાને ત્યાં પહોંચી આવી કારતૂત બીજી વખત નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આ મોટું બેનર પણ સળગાવી દેવાયું હતું. આ અંગે દેશ વિરોધી દેશોના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય તેવું બજરંગ દળના દેવી પ્રસાદ દુબેએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા આ વાત ની ખબર પડી હતી. તેઓ સ્થળ પર જઈ તપાસ કરતા ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ રેસ્ટોરન્ટ સંચાલકોને ચેતવણી આપી બેનર ઉતારી સળગાવી દેવાયા હતા.

આ પહેલા કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ સોશિયલ મીડિયામાં આ બાબતે મેસેજ વહેતો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભાજપના કહેવાતી ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઊજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવ્યું હતું. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતા ભાજપીઓ અને તેમની ભગિની સંસ્થાઓ આ બેનરના લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી, પણ આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવી અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતાં આવાં બેનર ભાજપીઓની વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો હાલ એ વ્યક્તિ “દેશદ્રોહી” છે એ પ્રસ્થાપિત કરવામાં તેમને અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરત એ નક્કી.

Most Popular

To Top