Health

સુરતના હીરાઉદ્યોગપતિનું 72 વર્ષની ઉંમરે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું, સતત 9 કલાક ચાલ્યું ઓપરેશન

દર મિનીટે કરોડો રૂપિયા કમાતા અને દેશ-દુનિયામાં ફરતા સુરત શહેરના ટોચના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા વલસાડની એક સામાન્ય યોગ ટીચરના જીવનભરના ઋણી બની ગયા છે. ગોવિંદ ધોળકીયા ઈચ્છે તો પણ વલસાડના યોગ ટીચરે કરેલા ઉપકારનું વળતર ચૂકવી શકશે નહીં. કારણ કે આ યોગ ટીચર હવે હયાત નથી. અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા વલસાડના યોગટીચરનું લિવર ગોવિંદ ધોળકીયાને દાનમાં મળ્યું છે. આ લિવરના લીધે 72 વર્ષીય ગોવિંદ ધોળકીયાને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનની બક્ષીશ મળી છે. યોગટીયર હવે હયાત નથી ત્યારે ગોવિંદ ધોળકીયા તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકશે નહીં.

સુરતના હીરા ઉદ્યોગમાં ગોવિંદ કાકાના હૂલામણા નામથી જાણીતા રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક ગોવિંદ ધોળકીયાના લિવરનું 72 વર્ષની ઉંમરે અહીંની કિરણ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. (Surat Diamond Businessman Govind Dholakiya Liver Transplant) ગોવિંદ કાકાનું લિવર 3 વર્ષથી ખરાબ હતું. બે મહિના પહેલાં કમળો થયા બાદ હાલત વધુ બગડી હતી, જેથી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કરાયું હતું. કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં સતત 9 કલાક લાંબા ઓપરેશનથી ગોવિંદ કાકાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાયું હતું. સર્જન ડો. રવિ મોહનકાએ આ ઓપરેશન કર્યું હતું. ડો. મોહનકા 2000થી વધુ લિવર ઓપરેશન કરી ચૂક્યા છે. સુરત શહેરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની આ પ્રથમ ઘટના બની છે.

ગોવિંદ ધોળકીયાનું લિવર 2018થી ખરાબ થયું હતું. અગાઉ હરનિયાનું ઓપરેશન કરતી વખતે લિવર બિમાર થયું હોવાનું નિદાન થયું હતું. દરમિયાન બે મહિના પહેલાં કમળો થયો ત્યારે હાલત કથળી હતી, જેથી લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કરાયું હતું. છેલ્લાં બે મહિનાથી ગોવિંદ ધોળકીયાના શરીરને અનુકૂળ લિવરની શોધ ચાલી રહી હતી.

દરમિયાન બે દિવસ પહેલાં વલસાડના યોગ શિક્ષીકા બ્રેઈનડેડ થયા હતા. 30 સપ્ટેમ્બરના રોજ વલસાડના શિક્ષીકા રંજન પ્રવીણ ચાવડાનું ધરમપુર ચોકડી પાસે અકસ્માત થયું હતું. બ્રેઈન હેમરેજને લીધે મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી. બે દિવસ પહેલાં યોગશિક્ષીકા બ્રેઈનડેડ થયા હતા. તેમના પરિવારે કિડની, લિવર અને આંખનું દાન કર્યું હતું. તેમનું લિવર ગોવિંદ ધોળકીયાને આપવાનું નક્કી કરાયું હતું.

આ લિવર કતારગામ ખાતેની કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં હૈદરાબાદ, મુંબઈ, લંડનના હોસ્પિટલોની સલાહ અનુસાર ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. 20 વર્ષનો અનુભવ ધરાવતા ડો. રવિ મોહનકાએ સાંજે 6 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું હતું, જે મધરાતના 3 વાગ્યા સુધી એટલે સતત 9 કલાક ચાલ્યું હતું, જે અંતે સફળ રહ્યું હતું.

એક વર્ષથી લિવર માટે દેશ-વિદેશ ભટકતા હતા

ગયા વર્ષે હરનિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે લિવરમાં ઈન્ફેક્શન જણાયું હતું, તેથી કેમેરો નાંખી વધુ તપાસ કરતા ગોવિંદ ધોળકીયાનું લિવર ખરાબ થઈ ચૂક્યું હોવાનું નિદાન થયું હતું. છેલ્લાં એક વર્ષથી ગોવિંદ ધોળકીયાનો પરિવાર તેમના માટે દેશ-વિદેશમાં મેચિંગ લિવરની શોધ ચલાવી રહ્યો હતો. હૈદરાબાદ, લંડન દરેક ઠેકાણે તપાસ કરી હતી. આખરે તેમની શોધ વલસાડ પર આવીને અટકી હતી. વલસાડની બ્રેઈનડેડ યોગટીચરનું લિવર ગોવિંદ ધોળકીયાને મેચ થયું હતું. દરમિયાન કિરણ હોસ્પિટલ દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનની લાંબા સમયથી મંજૂરી માંગવામાં આવી હતી, તે પણ મળી હતી. તેથી શનિવારે સાંજે 6 કલાકે ગોવિંદ ધોળકીયાનું કિરણ હોસ્પિટલ ખાતે લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ગોવિંદ ધોળકીયાને તબીબી નિગરાની હેઠળ રાખવામાં આવ્યા

ઓપરેશન બાદ ગોવિંદ ધોળકીયાને તબીબી નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે. તેઓને 7 દિવસ માટે રૂમમાં રાખવામાં આવ્યા છે. તેમના રૂમમાં તબીબો અને નજીકના પરિવારજનો સિવાય કોઈ જતું નથી. ગોવિંદ ધોળકીયાથી હાલ બોલી પણ શકાતું નથી. સાત દિવસ બાદ તેઓને સામાન્ય જીવન જીવવાની છૂટ આપવામાં આવશે. તેમ છતાં એક વર્ષ સુધી તેઓએ તબીબી સલાહનું પાલન કરવાનું રહેશે.

Most Popular

To Top