SURAT

મહાકુંભની નાસભાગમાં સુરતના શ્રદ્ધાળુનું મોત, સાળા અને મિત્રો સાથે પ્રયાગરાજ ગયા હતા

સુરત: મહાકુંભમાં શાહી સ્નાન સમયે થયેલી ભાગદોડની ઘટનામાં મોતને ભેટેલા 30 શ્રદ્ધાળુઓમાંથી એક મૂળ મહેસાણાના પરંતુ સુરતમાં સ્થાયી થયેલા મહેશ પટેલ પણ છે. પ્રયાગરાજ પોલીસે મોતને ભેટનારાઓમાં એક ગુજરાતી હોવાની કરેલી જાહેરાત બાદ આ ખુલાસો થયો હતો.

  • મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશ પટેલ હાલમાં ધંધા માટે પુત્ર સાથે સુરતમાં સ્થાયી થયા હતા
  • મહેશ પટેલના મૃતદેહને કડા ખાતે લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર પણ વતન કડા ખાતે જ કરાશે

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગઈકાલે મધરાત્રે થયેલી ભાગદોડમાં 35થી 40 શ્રધ્ધાળુઓના મોત થયા હતા. મોતને ભેટેલા શ્રદ્ધાળુઓની આજે આખો દિવસ ઓળખ કરવામાં આવી હતી. બાદમાં સાંજે 6.30 વાગ્યે મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ એક પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે, ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા. 60 લોકો ઘાયલ થયા છે. 25 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પોલીસે કરેલી આ જાહેરાત બાદ મહેશભાઈ પટેલના મોતની વિગતો સામે આવી હતી.

મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશભાઈ સોમાભાઈ પટેલ હાલમાં કામધંધા માટે પોતાના પુત્ર સાથે સુરતમાં રહેતા હતા અને સુરતથી પોતાના સાળા તેમજ મિત્રો સહિત ચાર વ્યક્તિઓ સાથે મહાકુંભમાં પ્રયાગરાજ ગયા હતા. મહેશભાઈના સાળા સાથે તેમની બહેનને પણ પરણવ્યા હતા એટલે કે સામ સાટુ કરેલું હતું.

મહેશભાઈ પટેલના સંબંધી જાગૃતિબેન પટેલએ જણાવ્યું હતું કે, મારા માસા મહેશભાઈ પટેલ સુરતથી મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. અમના અવસાનથી અમે દુ:ખની લાગણી અનુભવી રહ્યા છીએ. તેમના અંતિમ સંસ્કાર કડા ખાતે તેમના વતનમાં કરવામાં આવશે.

Most Popular

To Top