SURAT

સ્વચ્છ સુરતની હવા સૌથી શુદ્ધ, વાયુ સર્વેક્ષણમાં દેશના 131 શહેરોને હરાવી સુરત બન્યું નંબર-1

સુરત: સુરત શહેરે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં તો પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો જ છે, સાથે સાથે આ વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ સુરત શહેરનો દેશભરમાં પ્રથમ ક્રમ આવ્યો છે. ગત વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું.

  • સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી સુરત પ્રથમ આવી ગયું
  • 2023માં 13મો ક્રમ મેળવ્યો હતો, એક વર્ષમાં તમામ ત્રુટિ સુધારી
  • અનેક ઉદ્યોગો, ગીચ વસતિ, બેસુમાર ટ્રાફિક છતાં ઊડીને આંખે વળગે એવી મનપાની સિદ્ધિ

વર્ષ 2023માં જે બાબતો ખુટતી હતી તેમાં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ 200માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ઉપરાંત વર્ષ 2023-24માં PM 10ના રજકણોમાં 12.71 %નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

સુરતની આ સિદ્ધિ બદલ આગામી 7મી સપ્ટે.ના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનારા સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે રૂા. 1.5 કરોડની ઈનામી રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર તેમજ મનપા કમિશનરને અર્પણ કરાશે.

મેયર અને મનપા કમિશનરે શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો
સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ આવવા બદલ મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનરે સુરતવાસીઓને સાથ સહકાર આપવા બદલ અભાર વ્યક્ત કર્યો હતો. સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમા નંબર 1 બનાવવા બદલ તેમણે શહેરના નાગરીકોને અભિનંદન પાઠવ્યા હતા.

શું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ?
ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30% ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી.

શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે 8 પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.

મનપાના આ વિવિધ પ્રોજેક્ટોને કારણે આ સિધ્ધિ પ્રાપ્ત થઈ
સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 4થી 5 વર્ષના સમયગાળા દરમ્યાન હવાની ગુણવત્તા સુધારવાના ભાગરૂપે લગભગ રૂા. 5000 કરોડના વિવિધ પ્રોજેકટસ અમલી બનાવાયા છે. જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની આશરે વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, 100% ઘરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે પરંપરાગત વાહનોને બદલે 35% જેટલા ઈ–વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં આશરે 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો થયો છે. શહેરીજનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટેક્ષના દરમાં લાભો આપી કુલ 50 ઈલેકટ્રીકલ ચાર્જીંગ, ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશન અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ ઉભી કરી છે.

વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટીટયુટના સહયોગથી કુલ 280 કાર્યરત પ્રોજેકટોમાં સ્વચ્છ બાંધકામ માર્ગદર્શિકાનું પાલન કરી કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા સાથે કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટની વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાઈ છે. સુરતમાં જાહેર પરિવહન માટે કુલ 600 ઈ–બસોના લક્ષ્યાંક સામે પરંપરાગત બસોને બદલે 580 ઈ–બસો કાર્યરત કરી 114 કિ.મી.ના બીઆરટીએસ નેટવર્કમાંથી આશરે વાર્ષિક 66 મેટ્રિક ટન જેટલા કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે ગત 16 અને 17 ઓગસ્ટના રોજ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-સીપીસીબી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ- જીપીસીબી અને રાષ્ટ્રીય પર્યાવરણ એન્જીનીયરીંગ સંશોધન સંસ્થા (NEERI)ના અધિકારીઓએ શહેરના વિવિધ પ્લાન્ટસ/પ્રોજેકટોની મુલાકાત લીધી હતી.

Most Popular

To Top