National

સુપ્રીમ કોર્ટે UGC-NET પરીક્ષા મોકૂફ રાખવા મુદ્દે સુનાવણીનો ઇનકાર કર્યો, કહ્યું- ગંભીર અરાજકતા ઊભી થશે

UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી હતી કે આ સમયે તેને સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી.

ત્રણ સભ્યોની બેન્ચે આ મામલે કહ્યું કે સરકાર 21 ઓગસ્ટે નવી પરીક્ષાઓ યોજી રહી છે અને આ સમયે વિદ્યાર્થીઓના મનમાં “શાંતિ”ની લાગણી હોવી જોઈએ. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 9 લાખ છે. પ્રવીણ દબાસ અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટના આ પગલાની ગંભીર અસર થશે અને મોટા પાયે અરાજકતા સર્જાશે.” બેન્ચે નોંધ્યું હતું કે યુજીસી નેટની પરીક્ષા 18 જૂને યોજાઈ હતી અને તેના એક દિવસ પછી રદ કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “હાલના તબક્કે અરજી પર વિચાર કરવાથી માત્ર અનિશ્ચિતતા વધશે અને એકંદર અરાજકતા સર્જાશે. કેન્દ્ર સરકારે NEET-UG વિવાદ પછી બમણું એલર્ટ રહેવું જોઈએ અને તેથી જ તેને ફગાવી દેવામાં આવી હતી. હવે આ પ્રક્રિયાને ચાલવા દેવી જોઈએ.

આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એક પીઆઈએલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે પીડિત વિદ્યાર્થીઓ દ્વારા નહીં પરંતુ વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે આ મામલે વકીલને કહ્યું હતું કે, “તમે (વકીલ) શા માટે આવ્યા છો? વિદ્યાર્થીઓને જાતે જ અહીં આવવા દો. આ પીઆઈએલને ફગાવી દેતી વખતે અમે તેની યોગ્યતા પર કંઈ કહીશું નહીં.” ખંડપીઠે અરજી દાખલ કરનાર એડવોકેટ ઉજ્જવલ ગૌરને કાયદાકીય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પીડિત વ્યક્તિઓ માટે આવા મુદ્દાઓ છોડી દેવા જણાવ્યું હતું.

Most Popular

To Top