National

તિરુપતિ મંદિર લાડુ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો નવી સીટની રચનાનો આદેશ

નવી દિલ્હીઃ તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર બાલાજીના મંદિરમાં ભોગ પ્રસાદના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના કથિત ઉપયોગ સાથે જોડાયેલા મામલાની આજે શુક્રવારે તા. 4 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે તપાસ માટે નવી SITની રચનાના આદેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની SIT તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. આ માટે નવી SITની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર સ્વામી બાલાજી મંદિરના લાડુ પ્રસાદ વિવાદની તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે અને CBI ડિરેક્ટરની દેખરેખ હેઠળ નવી વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.

કોર્ટે કહ્યું કે અમે કોર્ટને રાજકીય લડાઈના અખાડામાં ફેરવવા દેતા નથી. નવી SITમાં બે CBI અધિકારીઓ, આંધ્ર પ્રદેશ સરકારના બે પ્રતિનિધિ અને FSSAIના એક સભ્યનો સમાવેશ થાય છે. સીબીઆઈ ડાયરેક્ટર એસઆઈટીની તપાસ પર નજર રાખશે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તિરુપતિ બાલાજીના પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની રાજ્ય સરકારની SIT તપાસ નહીં કરે.

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને SITની ક્ષમતા પર કોઈ શંકા નથી. અમે ઇચ્છીએ છીએ કે તપાસની દેખરેખ કેન્દ્રીય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવે. મેં મુદ્દાની તપાસ કરી. આમાં એક વાત સ્પષ્ટ છે કે જો આ આરોપમાં સત્યતાનું કોઈ તત્વ હોય તો તે અસ્વીકાર્ય છે. દેશભરમાં ભક્તો છે. ખાદ્ય સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. SIT સભ્યો દ્વારા કરવામાં આવી રહેલી તપાસ સામે મને કોઈ વાંધો નથી.

આ પહેલા આંધ્ર પ્રદેશ સરકારના વકીલે કહ્યું કે જો કોર્ટ કોઈ અધિકારીને SITમાં ઉમેરવા માંગે છે, તો અમને કોઈ સમસ્યા નથી. અરજદાર વતી કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે ગઈ કાલે આ સંબંધમાં ફરી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. સિબ્બલે માંગ કરી હતી કે કોર્ટે આ કેસની તપાસની જવાબદારી SITને બદલે સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે આ કરોડો લોકોની આસ્થાનો મામલો છે. અમે નથી ઈચ્છતા કે આ રાજકીય નાટક બને.

કોર્ટે સૂચવ્યું કે પાંચ લોકોની SITની રચના કરવામાં આવી શકે છે, જેમાં બે CBI અધિકારીઓ અને FSSAIના એક સભ્યનો સમાવેશ થાય છે. એટલે કે, આ કેસની તપાસ કરવા માટે એક સ્વતંત્ર તપાસ એજન્સી હોવી જોઈએ, જેમાં CBIના બે અધિકારીઓ, રાજ્ય સરકારના બે અધિકારીઓ અને FSSAIના એક અધિકારીનો સમાવેશ થશે.

Most Popular

To Top