World

સુડાનના અર્ધલશ્કરી દળોએ એક મસ્જિદ પર મોટો ડ્રોન હુમલો કર્યો, 43 લોકો માર્યા ગયા, અનેક ઘાયલ

સુડાનના અર્ધલશ્કરી દળોએ શુક્રવારે વહેલી સવારે સુડાનના ઉત્તરી ડાર્ફુર પ્રદેશની રાજધાની અલ-ફાશરમાં એક મસ્જિદ પર ડ્રોન હુમલો કર્યો, જેમાં 43 નાગરિકો માર્યા ગયા. આ હુમલાથી મસ્જિદ સંકુલમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. એક સ્થાનિક તબીબી જૂથે દાવો કર્યો હતો કે આ હુમલો રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF), એક અર્ધલશ્કરી દળ દ્વારા કરવામાં આવ્યો હતો.

સુડાન ડોક્ટર્સ નેટવર્કે શુક્રવારે “X” પર અહેવાલ આપ્યો હતો કે મૃતકોમાં વૃદ્ધ ઇબાદત કરનારાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ડ્રોન હુમલો ત્યારે થયો જ્યારે તેઓ નમાઝ પઢી રહ્યા હતા. નેટવર્કે તેને “નિર્દોષ નાગરિકો સામે એક જઘન્ય ગુનો” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે RSF દ્વારા “માનવતાવાદી અને ધાર્મિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સંપૂર્ણ અવગણના” દર્શાવે છે.

હુમલો એટલો વિનાશક હતો કે વિસ્ફોટ પછી પીડિતોના મૃતદેહો હવામાં ઘણા ફૂટ ઉંચા ઉડ્યા હતા. સ્થાનિક નાગરિકો અને માનવાધિકાર કાર્યકરોના જૂથ, અલ-ફશર રેઝિસ્ટન્સ કમિટીએ શુક્રવારે એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં કથિત રીતે મસ્જિદનો એક ભાગ કાટમાળમાં ધસી ગયો છે, જેમાં અસંખ્ય મૃતદેહો વિખેરાયેલા છે. એસોસિએટેડ પ્રેસ (એપી) સ્વતંત્ર રીતે આ વિડીયો ચકાસી શક્યું નથી. હુમલામાં નિશાન બનાવેલી ચોક્કસ મસ્જિદ શેર કરવામાં આવી નથી. આ હુમલો છેલ્લા અઠવાડિયામાં થયેલા અનેક હુમલાઓમાંનો એક છે કારણ કે અલ-ફશરમાં આરએસએફ અને સુદાનિસ સેના વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે.

સુડાનિસ સેના અને આરએસએફ વચ્ચે ચાલુ સંઘર્ષ
સુડાનિસ સેના અને આરએસએફ વચ્ચેનો સંઘર્ષ એપ્રિલ 2023 માં ફાટી નીકળ્યો હતો અને હવે તે ગૃહયુદ્ધમાં પરિણમ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર ઓછામાં ઓછા 40,000 લોકો માર્યા ગયા છે અને આશરે 12 મિલિયન લોકો વિસ્થાપિત થયા છે. લાખો લોકો ભૂખમરાની અણી પર પણ છે. દારફુર ક્ષેત્રમાં સેનાનો છેલ્લો મુખ્ય ગઢ, અલ-ફશર છેલ્લા વર્ષથી સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે.

Most Popular

To Top