Sports

સુપર ઓવર વિવાદ પર શ્રીલંકાના કોચ જયસૂર્યા ભડક્યા, નિયમો સામે સવાલ ઉઠાવ્યા

ગઈકાલે શુક્રવારે તા. 26 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની સુપર ફોર મેચમાં ટાઈ થઈ હતી. ત્યારબાદ બંને ટીમો સુપર ઓવરમાં ટકરાઈ હતી, જે સૂર્યા બ્રિગેડે જીતી. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવ્યા, જેના કારણે ભારતીય ટીમ માટે કાર્ય સરળ બન્યું. હવે ભારત 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.

ભારત-શ્રીલંકા મેચમાં સુપર ઓવર દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ જોવા મળી, જેમાં દાસુન શનાકા કેન્દ્રમાં હતા. સુપર ઓવરમાં શ્રીલંકા તરફથી શનાકા બેટિંગ કરવા આવ્યો. ઓવરના ચોથા કાયદેસર બોલ પર અર્શદીપ સિંહે યોર્કર ફેંક્યો, જે શનાકા મારવા ગયો પણ તે સીધો વિકેટ કીપર સેમસનના હાથમાં ગયો.

ભારતીય ખેલાડીઓએ કેચની અપીલ કરી, ત્યારબાદ અમ્પાયરે આંગળી ઉંચી કરી શનાકાને આઉટ જાહેર કર્યો. દરમિયાન શનાકા રન માટે દોડ્યો, પરંતુ બોલ પહેલાથી જ સંજુ સેમસનના ગ્લોવ્સમાં હતો. સેમસને સ્ટમ્પ પર ફેંકી દીધો અને શનાકાને રન આઉટ કર્યો.

સુપર ઓવરમાં શ્રીલંકાની ઇનિંગ પૂરી થઈ ગઈ હોય તેવું લાગતું હતું પરંતુ એવું નહોતું. જ્યારે દાસુન શનાકાને ખબર પડી કે અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો છે, ત્યારે તેણે રિવ્યુ લીધો. અલ્ટ્રાએજે બતાવ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો અને શનાકા ક્રીઝ પર પાછો ફર્યો.

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના કાયદા 20.1.1.3 મુજબ, બેટ્સમેનને આઉટ આપતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે. તેથી સંજુ સેમસનનો રન આઉટ અમાન્ય હતો કારણ કે અમ્પાયરે પહેલેથી જ આંગળી ઉંચી કરી દીધી હતી.

સનથ જયસૂર્યાએ નિયમો પર સવાલ ઉઠાવ્યા
હવે શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ સુપર ઓવર વિવાદ બાદ નિયમો પર પ્રશ્નો ઉઠાવ્યા છે. જયસૂર્યાએ કહ્યું કે આ નિયમો વિવાદનું કારણ છે. તેમનું માનવું છે કે નિયમોમાં વધુ સુધારાની જરૂર છે. મેચ પછી સનથ જયસૂર્યાએ કહ્યું, નિયમો અનુસાર, ફક્ત પહેલો નિર્ણય જ માન્ય રહે છે. જ્યારે શનાકાને આઉટ આપવામાં આવ્યો ત્યારે બોલ ડેડ બોલ બની ગયો. બાદમાં જ્યારે રિવ્યુ પર નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો ત્યારે તે નિર્ણય ગણાયો. પરંતુ મને લાગે છે કે આવી પરિસ્થિતિઓ ટાળવા માટે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે.

શ્રીલંકાના સેન્ચ્યુરીયન પથુમ નિસાન્કા સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે ઉતર્યા ન હતા, જેના કારણે ઘણી ચર્ચા થઈ હતી. સનથ જયસૂર્યાએ સમજાવ્યું કે નિસાન્કાને પાછલી બે મેચોમાં હેમસ્ટ્રિંગ અને જંઘામૂળની ઇજાઓ થઈ હતી, જેના કારણે તે અસ્વસ્થતા અનુભવતો હતો. જયસૂર્યાના મતે તેથી ટીમે જોખમ લેવાનું ટાળ્યું અને તેના બદલે ડાબેરી-જમણી જોડીનો પ્રયાસ કર્યો.

Most Popular

To Top