સુરતઃ બેકારીથી કંટાળી વરિયાવ બ્રિજ પર આજે એક યુવક આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો.
- આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક તાપીમાં કૂદવા રેલિંગ પર ચઢ્યો હતો, પોલીસે વાતોમાં ભોળવી પકડી લીધો
મળતી માહિતી મુજબ આજે બપોરે 3.45 કલાકે સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે વરીયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે. જેના આઘારે તાત્કાલિક સિંગણપોર પોલીસ સ્ટેશનની વાન તેમજ પીસીઆર-28 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગમાં કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડયું હતું.
રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા. આ મામલે પોલીસના કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવી રેલિંગની બહારથી પકડી લીધો હતો અને સમયસૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાળી તાર ફેન્સીંગ ટપીને આ યુવાનને બચાવી લેવાયો હતો.
તેને પોલીસ સ્ટેશન લઈ આવી તેની પૂછપરછ કરી હતી. યુવકે પોતે આર્થિક તંગીથી કંટાળી ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને તેના પરિજનોને સહી સલામત સોંપ્યો હતો.
