National

શ્રી બુદ્ધ અમરનાથ યાત્રા 2025: આજથી યાત્રાનો પ્રારંભ, પ્રથમ જથ્થો કાલે રવાના થશે

શ્રી બુદ્ધ અમરનાથ યાત્રા 2025નો આજે ભવ્ય પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યાત્રા તા.27 જુલાઈથી શરૂ થઈને 7 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. આ યાત્રાનું ઉદ્ઘાટન સમારોહ આજે સાંજે 6 વાગ્યે જમ્મુના અભિનવ થિયેટરમાં યોજાશે, જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

યાત્રાનું આયોજન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી શક્તિ આશ્રમ, પુરાણી રેહરી, જમ્મુ દ્વારા કરવામાં આવ્યું છે.

બજરંગ દળ દ્વારા 2005માં શરુ થયેલી આ યાત્રા હવે એક વાર્ષિક ધાર્મિક પરંપરા બની ગઈ છે, જે લઘુમતી હિન્દુ સમુદાયના મનોબળ અને સંસ્કૃતિ જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યાત્રાનો પ્રથમ જથ્થો આવતી કાલે તા.28 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જમ્મુથી લોરાન મંડી સ્થિત બુદ્ધ અમરનાથ મંદિર માટે રવાના થશે.

ઉદ્ઘાટન સમારોહમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહાસચિવ મિલિંદ પરાંડે મુખ્ય વક્તા રહેશે, જ્યારે બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજ ડોનેરિયા, જમ્મુ-કાશ્મીર લદ્દાખના પ્રમુખ રાજેશ ગુપ્તા પણ ઉપસ્થિત રહેશે. મહામંડલેશ્વર સ્વામી રામેશ્વર દાસ યાત્રાધારીઓને આશીર્વાદ આપશે.

કાર્યક્રમનું સંચાલન યાત્રા સમિતિના પ્રમુખ પવન કુમાર કોહલી, વરિષ્ઠ ઉપપ્રમુખ કરણ સિંહ ચડક અને મહામંત્રી સુદર્શન ખજુરિયા સંભાળશે. યાત્રાનો આધાર શિબિર ભગવતી નગર ખાતે આવેલ અમરનાથ યાત્રા નિવાસ હશે, જ્યાંથી તમામ વ્યવસ્થાઓનું નિયંત્રણ રાખવામાં આવશે.

આ યાત્રા પાછળનો ઈતિહાસ આતંકવાદના કારણે રાજૌરી, મેંઢર અને પૂંછમાંથી હિન્દુ સમુદાયના સ્થળાંતર પછી તેમનું મનોબળ વધારવાનું રહ્યું છે. આજે આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં , પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનનું પણ પ્રતિક બની ગઈ છે. યાત્રાને લઈ સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરાઈ છે.

યાત્રાધામ તરફ જતા ભક્તો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેમને તેમના પરિવારો સાથે કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top