National

શંભુ બોર્ડર બંધ રાખવાની ડેડલાઈન પૂર્ણ થતા ખેડૂતોની દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ થશે

નવી દિલ્હી: પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડરને (Shambhu border) બંધ રાખવાના હાઈકોર્ટના આદેશની આજે અંતિમ તારીખ છે. ત્યારે આ મુદ્દત આજે પૂરી થયા બાદ હવે ખેડૂતો હરી દિલ્હી (Delhi) કુચ કરશે. અત્યાર સુધી સરકાર દ્વારા સરહદ ખોલવા માટે કોઈ પહેલ કરવામાં આવી ન હતી. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ફેબ્રુઆરી 2023થી વિરોધ કરી રહેલા ખેડૂતોએ હાઈકોર્ટના આદેશની મુદ્દત પુરી થયા બાદ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સંયુક્ત કિસાન મોરચાના બિનરાજકીય સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું હતું કે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી તરફ કૂચ કરશે. તેમજ 15મી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કાઢવાનું પણ નક્કી કર્યુ છે. ત્યારે આ ટ્રેક્ટર માર્ચ દેશભરમાં કાઢવામાં આવશે.

દલ્લેવાલે જણાવ્યું હતું કે તેમની પાસે છ મહિનાનું રાશન છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેમને દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. જો સરકાર તેમને રસ્તામાં ક્યાંય રોકવાનો પ્રયાસ કરશે તો તેઓ ત્યાં જ વિરોધ શરૂ કરશે. તેની જવાબદારી સંપૂર્ણપણે સરકારની રહેશે.

દલ્લેવાલે વધુમાં કહ્યું કે તેઓ ટ્રેક્ટર ટ્રોલી સાથે આ કૂચ કરશે, કારણ કે તેમના માટે વરસાદ, ગરમી અને ઠંડીથી બચવા માટે ટ્રોલી જ એકમાત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર પાસે કોઈ માંગણી નથી કરી રહ્યા, પરંતુ માત્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વચનો પૂરા કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર સીમા ખોલવા તૈયાર નથી. જો હરિયાણા સરકાર રસ્તો નહીં ખોલે તો દેશના વેપારીઓએ પણ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ. ત્યારે 300 મીટરનો સરહદી વિસ્તાર પંજાબની બાજુમાં આવે છે, તેથી સરહદ ખોલવાનો આદેશ પણ પંજાબ સરકારનો છે.

એક હજાર ખેડૂતોનું જૂથ દાતાસિંહવાલા બોર્ડર પર પહોંચ્યું
દાતાસિંહવાલા બોર્ડર પર ખેડૂતોની સક્રિયતા વધવા લાગી છે. તેમજ 17 અને 18 જુલાઈએ અંબાલા એસપી ઓફિસની ઘેરાબંધી માટે પંજાબના ભટિંડા અને સિરસાથી એક હજાર ખેડૂતોનું જૂથ પહોંચ્યું છે. આ ઉપરાંત વધુ ખેડૂતો પણ આવી રહ્યા છે. ત્યારે શંભુ બોર્ડર ખોલવાના પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હરિયાણા સરકારની સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પર સુપ્રીમ કોર્ટ 22 જુલાઈએ સુનાવણી કરશે.

22મી જુલાઈએ દિલ્હીમાં કોન્ફરન્સ યોજાશે
ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ બાદ યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાનું સંયુક્ત સંમેલન આગામી 22 જુલાઈએ નવી દિલ્હીમાં યોજાશે. તેમજ બંને મોરચાઓ માટે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓને મળવા માટે પત્રો લખ્યા હતા અને તેમને મળ્યા બાદ સંસદના આગામી સત્રમાં MSP ગેરંટી સહિત ખેડૂતોની તમામ માંગણીઓ પર ખાનગી બિલ લાવવાની માંગ કરવામાં આવશે. આગામી દિવસોમાં બંને મોરચાના અધિકારીઓ હરિયાણામાં ઘરે-ઘરે જઈને ખેડૂતો અને મજૂરોને જાગૃત કરશે. ત્યાર બાદ હરિયાણામાં 15 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્તરની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખો ખેડૂતો ભાગ લેશે.

અંબાલામાં કલમ 163 લાગુ
અંબાલા જિલ્લાના ડેપ્યુટી કમિશનર ડૉ. શાલીને જિલ્લામાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 લાગુ કરી છે. આ આદેશો હેઠળ, પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. એસપી ઓફિસના 200 મીટરની અંદર ભીડ એકઠી થઈ શકશે નહીં. આ આદેશો 17 જુલાઈથી આગામી બે મહિના સુધી અમલમાં રહેશે.

Most Popular

To Top