કોંગ્રેસના પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યું છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શક્તિસિંહે રાજીનામાની જાહેરાત કરી છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળતા પ્રદેશ પ્રમુખનો ત્યાગ કરવાનો નિર્ણય શક્તિસિંહ ગોહિલે લીધો છે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. શૈલેષ પરમાર દાણીલીમડાના ધારાસભ્ય છે.
કડી વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શક્તિસિંહે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસના કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી હું સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.
આ સાથે શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંક અંગે કહ્યું હતું કે, જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઈસીસીએ તમામ સારા ઉમેદવારોને સાંભળ્યા છે, ત્યાર બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યા તે પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યા હતા.
મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશા કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડાધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તો પણ સારું લાગત.