Dakshin Gujarat

ગણદેવીના વતની શકીલ મુલ્લાની બ્રિટન સરકારમાં વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે નિમણૂક

બીલીમોરા : ભારતીય મૂળના ગણદેવીના વતની અને બીલીમોરાના જમાઈ શકીલ મુલ્લાની બ્રિટન સરકારે વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે નિમણૂક કરતા ભારત દેશ સાથે ગણદેવી તાલુકાને ગૌરવ અપાવ્યું છે. મૂળ ગણદેવી ગામના ઘાંચી વાડના પૌતૃક પરિવારના અને વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા શકીલ અહેમદ મુલ્લાનો જન્મ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં થયો હતો. તેઓ છેલ્લા 17 વર્ષથી બ્રિટનની સરકારમાં ફરજ બજાવે છે. વર્ષ 2016 થી 2020 દરમિયાન તેમને ભારતની બ્રિટન એમ્બેસીમાં સિનિયર ઓફિસર તરીકે પણ કામ કર્યું હતું. ઇન્ડિયા અને સાઉથ એશિયાની કન્ટ્રીમાં બાય લેટરલ હેડ તરીકે તેમની હાલ નિમણૂક કરવામાં આવી છે.

તેમનુ મૂળ વતન ગણદેવી છે, પણ વર્ષોથી તેઓ બ્રિટન સ્થાયી થયાં હતા. તેમના માતા ચીખલીના આલીપોર ગામના વતની છે. તેમના લગ્ન બીલીમોરા રહેતા અબ્દુલ હમિદ મુલ્લાની પુત્રી શબાના સાથે થયાં હતા. તેમને પરિવારમા 15 વર્ષના બે જોડિયા પુત્ર છે. ઈંગ્લેન્ડ સરકારે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વેપાર વધુ મજબૂત બનાવવા માટે બ્રિટનના વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે શકીલ મુલ્લાની નિમણૂક કરાઇ છે. કોરોનાકાળ દરમિયાન બ્રિટિશ એશિયન સમુદાય તરફથી ભારત પાસેથી મદદ મેળવવામાં શકીલ મુલ્લાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્કાર અને સંસ્કૃતિના પ્રકાશમાં સેવામાર્ગ ઉપર ચાલી ભારત-યુકેના મજબૂત સંબંધો માટે તેમને અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરદેશમાં ઉછેર થયો હોવા છતાં સ્વદેશની માટીથી દૂર નહીં રહી શકનારા શકીલ અવારનવાર ભારત આવે છે. વતનની મુલાકાત લેતા હોવાથી ભારતીય સંસ્કૃતિ સાથેના જોડાણને વધુ મહત્વ આપે છે. શકીલે ગત વર્ષે ગણદેવીમાં રહેતા તેમના સબંધીઓની સાથે તેમના બીલીમોરા સાસરા પક્ષની પણ મુલાકાત લીધી હતી.

ભારત બાદ બેજિંગમાં અને ત્યારબાદ લંડનમાં ફોરેન મિનિસ્ટ્રીમાં એન્ટી કરપ્શન વિભાગમાં ફરજ બજાવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી જોઈ ઈંગ્લેન્ડ ગર્વન્મેન્ટે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને બંને દેશો વચ્ચે વેપાર વધારવા હવે તેમની ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેંટ આફિસમાં નાયબ વડા તરીકે નિમણૂક કરી છે. તેઓ માને છે કે, ભારત અને યુકે વચ્ચેનો સારો સંબંધ બંને દેશોને માટે જરૂરી છે.

યુકેને ભારતની એટલી જ જરૂર છે, જેટલી ભારતને યુકેની છે
બન્ને દેશોની સમૃદ્ધિ માટે દ્વિપક્ષીય વેપાર ખૂબ જ મહત્ત્વનો છે. યુકેને ભારતની એટલી જ જરૂર છે, જેટલી ભારતને યુકેની છે. વેપાર, રોકાણ અને શિક્ષણ એવા મુખ્ય ક્ષેત્રો છે, જ્યાં એકમેકને સહકારની જરૂર છે. વિઝા ક્ષેત્રમાં 7 વર્ષના અનુભવ હોય તેઓ ભાવિ પેઢીની સરળતા ઊભી કરવા માટે પ્રયત્નો હાથ ધરશે. જેથી યુકે-ભારત સંબંધોમાં વધતી જતી તકનો ફાયદો લેવા યુવાનોને સરળતા રહેશે. શકીલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ઈમિગ્રેશન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે સર્ટિફિકેટ ઓફ એક્સલેંસી’ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે 30 દેશોના 60 વ્યક્તિઓને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈંગ્લેન્ડમાં ઉછેર છતાં હિન્દી અને ગુજરાતી પર પ્રભુત્ત્વ છે. તેઓ કહે છે કે, ગુજરાતી અને હિન્દી ભાષાની કસબથી પોતે ભારતીય મૂળના હોવા સાથે મજબૂત બન્યો છું. એટલું જ નહીં, સમગ્ર ભારતીય સમુદાય સાથેના જોડાણને વધારે મજબૂત બન્યું છે.

Most Popular

To Top