Business

હિંડનબર્ગ કેસમાં સેબીએ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી, કેસ બંધ; ગૌતમ અદાણીનું નિવેદન સામે આવ્યું

હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપ અને તેના ચેરમેન ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. બજાર નિયમનકાર સેબીએ ગુરુવારે અદાણી ગ્રુપ અને તેના ચેરમેન ગૌતમ અદાણીને યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાંથી મુક્ત કર્યા છે.

સેબીની તપાસમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ સામે કોઈ આરોપો મળ્યા નથી. અદાણી ગ્રુપ પર વ્યવહારો છુપાવવા માટે ત્રણ એન્ટિટી દ્વારા ભંડોળ રૂટ કરવાનો આરોપ હતો. બે અલગ અલગ આદેશોમાં સેબીએ કોઈ ઉલ્લંઘન શોધી કાઢ્યું નથી. સેબીએ એમ પણ જણાવ્યું હતું કે લોન વ્યાજ સાથે ચૂકવવામાં આવી હતી. કોઈ ભંડોળની ઉચાપત કરવામાં આવી ન હતી, અને તેથી કોઈ છેતરપિંડી થઈ નથી. સેબીની તપાસમાં જાણવા મળ્યું કે અદાણી પોર્ટ્સે એડિકોર્પ એન્ટરપ્રાઇઝને ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું, જેણે બદલામાં અદાણી પાવરને લોન તરીકે ભંડોળ પૂરું પાડ્યું હતું. જો કે અદાણી પાવરે એડિકોર્પ એન્ટરપ્રાઇઝને લોન ચૂકવી દીધી હતી.

ગૌતમ અદાણીનું નિવેદન
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના સત્તાવાર X હેન્ડલ પર ટ્વિટ કર્યું, “વિગતવાર તપાસ બાદ, સેબીએ અમને નિર્દોષ જાહેર કર્યા છે. અમે સમગ્ર સમય દરમિયાન જાળવી રાખ્યું છે કે હિન્ડનબર્ગના દાવાઓ પાયાવિહોણા હતા. પારદર્શિતા અને પ્રામાણિકતા હંમેશા અદાણી ગ્રુપની ઓળખ રહી છે. આ કપટપૂર્ણ અને પ્રેરિત રિપોર્ટને કારણે નાણાં ગુમાવનારા રોકાણકારોનું દુઃખ અમે ઊંડાણપૂર્વક અનુભવીએ છીએ. ખોટા સમાચાર ફેલાવનારાઓએ રાષ્ટ્રની માફી માંગવી જોઈએ.”

હિન્ડનબર્ગે આ આરોપો લગાવ્યા હતા
જાન્યુઆરી 2023 માં હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપે ત્રણ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. અદાણી ગ્રુપની કંપનીઓ વચ્ચે ભંડોળ ટ્રાન્સફર કરવા માટે એડિકોર્પ એન્ટરપ્રાઇઝ, માઇલસ્ટોન ટ્રેડલિંક્સ અને રીહેવર સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરાયાનો આરોપ હતો. તેણે દાવો કર્યો હતો કે આનાથી અદાણીને સંબંધિત-પક્ષ વ્યવહાર નિયમોને અવગણવામાં મદદ મળી, જે સંભવિત રીતે રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે. હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલે રાજકીય વાણીવિચારને વેગ આપ્યો, અને આ મુદ્દો સંસદમાં પણ ગરમાયો હતો.

Most Popular

To Top