બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો છે. હજુ સૈફ તે આઘાતમાંથી બહાર આવી શક્યો નથી અને ત્યાં વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હકીકતમાં સૈફના પટૌડી પરિવારની પૈતૃક સંપત્તિ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી શકે છે. આ તમામ મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેની અંદાજિત કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના પર લગાવવામાં આવેલ સ્ટે ઓર્ડર હટાવી લીધો છે.
અભિનેતા સૈફ અલી ખાનને તાજેતરમાં જીવલેણ હુમલો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે મંગળવારે જ ઘરે પરત ફર્યો હતો. આ દરમિયાન તેના માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના પટૌડી પરિવારની લગભગ 15,000 કરોડ રૂપિયાની પૈતૃક સંપત્તિ પર કેન્દ્ર સરકાર કબજો મેળવી શકે છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મિલકતો પર લગાવવામાં આવેલા સ્ટે ઓર્ડરને હટાવી દીધો છે, જેના પછી હવે તે કેન્દ્ર સરકાર દ્વારા શત્રુ સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ હસ્તગત કરી શકાય છે.
એનીમી પ્રોપર્ટી એક્ટ શું છે?
કેન્દ્ર સરકાર એનિમી પ્રોપર્ટી એક્ટ-1968 હેઠળ ભોપાલમાં સ્થિત સૈફ અલી ખાનની સંપત્તિને જપ્ત કરી શકે છે. તો અહીં એ જાણવું પણ જરૂરી છે કે આ એક્ટ ખરેખર શું છે. તમને જણાવી દઈએ કે, એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ ભારત સરકાર એવા લોકોની સંપત્તિ પર દાવો કરી શકે છે જે 1947માં ભાગલા પછી પાકિસ્તાન ગયા હતા અને સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલ સંપત્તિ પણ આ શ્રેણીમાં આવે છે.
આ મામલે હાઈકોર્ટે શું કહ્યું?
મધ્યપ્રદેશ હાઈકોર્ટે વર્ષ 2015માં આ કેસની સુનાવણી શરૂ કરી હતી જ્યારે મુંબઈ સ્થિત એનિમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફિસ દ્વારા ભોપાલના નવાબની જમીનને સરકારી મિલકત તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ પટૌડી પરિવારને નોટિસ પણ આપવામાં આવી હતી. જેના જવાબમાં સૈફ અલી ખાને આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી અને પ્રોપર્ટી પર સ્ટે લીધો હતો.
એક અહેવાલ મુજબ, ગયા વર્ષે 13 ડિસેમ્બરે એમપી હાઈકોર્ટમાં જસ્ટિસ વિવેક અગ્રવાલની બેંચે સૈફની અરજી ફગાવી દીધી હતી અને તેને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો પરંતુ સૈફ અલી ખાન કે તેના પરિવારના કોઈ સભ્યએ હજુ સુધી કોઈ પગલું ભર્યું નથી.
આ પ્રોપર્ટી જપ્ત થવાનું જોખમ
સૈફ અલી ખાનની જે પ્રોપર્ટી જપ્ત થવાના જોખમમાં છે તેમાં ભોપાલ અને રાયસેનમાં તેની પ્રોપર્ટી સામેલ છે. જેમાં ફ્લેગ સ્ટાફ હાઉસ, નૂર-ઉસ-સબાહ પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબી કા બંગલો, અમદાવાદ પેલેસ, કોહેફિઝાનો સમાવેશ થાય છે. સૈફે પોતાનું બાળપણ ફ્લેગ સ્ટાફ હાઉસમાં જ વિતાવ્યું હતું.
આઝાદી પહેલાં ભોપાલ એક રજવાડું હતું
1947 સુધી ભોપાલ એક રજવાડું હતું અને નવાબ હમીદુલ્લા ખાન તેના છેલ્લા નવાબ હતા. તેઓ મન્સૂર અલી ખાન પટૌડીના દાદા હતા અને તેમની ત્રણ પુત્રીઓ હતી જેમાંથી આબિદા સુલતાન 1950માં પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હતા.
તેમની બીજી પુત્રી સાજીદા સુલતાન ભારતમાં રહી અને સૈફ અલી ખાનના દાદા નવાબ ઈફ્તિકાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2019 માં કોર્ટે સાજીદા સુલતાનને કાનૂની વારસદાર તરીકે માન્યતા આપી અને સૈફ અલી ખાનને સંપત્તિનો એક ભાગ વારસામાં મળ્યો હતો.
