World

રાષ્ટ્રપતિ પુતિન વાતચીત માટે તૈયાર, કહ્યું- રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત, ચીન મધ્યસ્થી કરી શકે છે

યુક્રેન-રશિયા યુદ્ધને લઈને શાંતિ મંત્રણાને લઈને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે મોટું નિવેદન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેન પર સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને જણાવ્યું હતું કે યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં વાટાઘાટો દરમિયાન રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચે થયેલ પ્રારંભિક સમજૂતી વાટાઘાટો માટેનો આધાર બની શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા માટે મધ્યસ્થી કરી શકે છે. ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન પુતિને કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાના એક સપ્તાહ બાદ ઈસ્તાંબુલમાં યોજાયેલી વાટાઘાટોમાં યુદ્ધ સંબંધિત પ્રારંભિક સમજૂતી પર સહમતિ થઈ હતી પરંતુ આ સમજૂતીનો ક્યારેય અમલ થયો ન હતો. હવે જો મધ્યસ્થી મંત્રણા ફરી શરૂ થશે તો ઈસ્તાંબુલમાં થયેલ પ્રારંભિક સમજૂતી આ વાટાઘાટોનો આધાર બની શકે છે.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ ઈવેન્ટમાં કહ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ વિસ્તારને કબજે કરવાનો છે. હાલમાં રશિયન સેના કુર્સ્કથી યુક્રેનની સેનાને પાછી ખેંચી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ પુતિનની આ શાંતિ મંત્રણામાં ભાગીદારી ન લેવાના કારણે આ બેઠકોનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. હવે પુતિને પોતે જ સંકેત આપ્યા છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ હાલમાં જ રશિયાની મુલાકાત દરમિયાન શાંતિની અપીલ કરી હતી. ગયા મહિને યુક્રેનની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ શાંતિની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ભારત આ માટે મદદ કરવા તૈયાર છે. 

યુદ્ધ રોકવા માટે પુતિનની શરતો
ફેબ્રુઆરી 2022 માં યુદ્ધની શરૂઆતના એક મહિના પછી તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટોના ઘણા રાઉન્ડ યોજાયા હતા. તેનો હેતુ યુદ્ધને રોકવાનો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ રોકવા માટે બે શરતો રાખી હતી. તેમણે કહ્યું હતું કે યુક્રેનને ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયામાંથી તેના સૈનિકો પાછા ખેંચવા પડશે. આ સિવાય યુક્રેન ક્યારેય નાટોનો ભાગ નહીં બને. જોકે યુક્રેને આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top