World

આતંક સામેના યુદ્ધમાં રશિયા ભારતની સાથે; પુતિને પીએમ મોદીને ફોન કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (5 મે, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો. પુતિને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી. પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે વાતચીત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે હુમલા પાછળના લોકો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લગભગ બે અઠવાડિયા પછી પુતિનનો ભારતને ટેકો આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વિજય દિવસની 80મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ પુતિનને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટ માટે આમંત્રણ આપ્યું. આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પહેલગામ આતંકવાદી હુમલા અંગે એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી.

વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પણ ખાસ અપીલ કરી
રવિવારે રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન રશિયન વિદેશ મંત્રીએ બંને દેશોને સંયમ રાખવા અને કોઈપણ પ્રકારની વકરી રહેલી પરિસ્થિતિને રોકવા અપીલ કરી હતી.

Most Popular

To Top