Madhya Gujarat

સોજિત્રા પાલિકા પ્રમુખ સામે બળવો : બજેટ ફગાવ્યું

પેટલાદ : સોજીત્રા નગરપાલિકાના સભાખંડમાં શુક્રવારના રોજ નાણાંકીય વર્ષ 2023-24ના બજેટ માટે સાધારણ સભા મળી હતી. જેમાં સત્તાપક્ષના ચાર સભ્યોએ બજેટનો વિરોધ કરતાં 12 વિરૂદ્ધ 9 મતે બજેટ નામંજૂર થયું હતું. જીલ્લામાં ઉમરેઠ બાદ સોજીત્રા પાલિકાનું બજેટ નામંજૂર થતાં તથા સત્તાપક્ષના જ કેટલાક સભ્યો દ્ધારા બળવો કરાતાં જીલ્લાના રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ છે. સોજીત્રા પાલિકાના પ્રમુખની તાનાશાહી અને આપખુદશાહીના કારણે બજેટ નામંજૂર થયું હતું. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલના ગઢમાં જ આ ગતિવિધિ થતાં મુદ્દો ટોકઓફ ધી ટાઉન બન્યો છે.

સોજીત્રા નગરપાલિકાના પ્રમુખ રજનીકાન્ત જશભાઈ પટેલના બે વર્ષના શાસન દરમ્યાન કોઈને કોઈ કારણોસર ભાજપના જ સભ્યોમાં નારાજગી ઉભી થઈ હતી. જેને કારણે ગયા વરસે ચાર સભ્યોએ રાજીનામાં ધરી દિધા હતાં. જોકે, વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોવાના કારણે જીલ્લાની નેતાગીરીએ ડેમેજ કંટ્રોલ કરી દીધું હતું. પરંતુ ફરી એકવાર શુક્રવારે ભાજપ શાસિત સોજીત્રા નગરપાલિકાના સત્તાપક્ષના 4 સભ્યએ બાંયો ચઢાવી બજેટનો વિરોધ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સાધારણ સભામાં કાર્યસુચી મુજબ કુલ 16 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી ગતસભાના ઠરાવોને બહાલી આપવાના પ્રથમ કામમાં જ વિપક્ષના 8 તથા સત્તાપક્ષના 5 સભ્યોએ વિરોધ રજૂ કર્યો હતો. જેમાં 11 માસના કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવા અંગેનુ કામ હતું. બાદમાં એજન્ડા મુજબ કામ નં.2 રજૂ થયું હતું. જે સર્વે નં. 1622/2, 1624/2, 1633 અને 1635/1 વાળી જગ્યામાં જે કોમ્પલેક્ષ છે, તેની દુકાનોમાં નવા નંબરો પાડવાનું કામ હતું. જેમાં પણ વિપક્ષ સાથે સત્તાપક્ષના 5 મળી 13 સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે કાર્યસૂચી મુજબ કામ નં.3 હેઠળ આગામી નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા માટે વર્ષ દરમિયાન સૌથી મહત્વનું કામ બજેટ ગણવામાં આવે છે. આ બજેટનો પણ વિપક્ષના 8 તથા સત્તાપક્ષના 4 મળી 12 સભ્યોએ વિરોધ નોંધાવતા બજેટ નામંજૂર થયુ હતું. તેવી જ રીતે કામ નં.4 મુજબ પાલિકામાં જુદી જુદી વસ્તુઓની ખરીદી કરવા વાર્ષિક ભાવો મંગાવવાનું હતું. આ તબક્કે વિપક્ષના મહેબૂબભાઈ વ્હોરાએ સત્તાપક્ષ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયા કરી મંગાવવી જોઈએ. જેને સત્તાપક્ષના પાંચ સભ્યોએ પણ સમર્થન આપતા લેખિત વિરોધ રજુ કર્યો હતો. સોજીત્રા નગરપાલિકામાં અત્યારસુધી જે કોઈ ખર્ચાઓ કર્યા હતા તેના વાઉચરો મંજૂર કરવા સંદર્ભે કામ નં.5 સાધારણ સભામાં રજૂ થયું હતું. પરંતુ આ કામમાં સત્તાપક્ષના પાંચ સહિત વિપક્ષના 8 મળી 13 સભ્યોએ લેખિતમાં વિરોધ રજૂ કરતાં કહ્યું હતું કે, પગાર તથા લાઇટબીલ સિવાયના તમામ ખર્ચાઓમાં અમારો વિરોધ છે.

આ અંગે વિપક્ષના ઈદ્રીશભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે, સોજીત્રા પાલિકામાં 17મી, સપ્ટેમ્બર 2022 પછી એકપણ કારોબારી સભા મળી જ નથી. આ ઉપરાંત કાર્યસૂચી મુજબ કામ નં.13 રજૂ થયું હતું કે સોજીત્રા પાલિકા હદમાં લારી તથા પાથરણાંવાળાને હંગામી જગ્યા ફાળવવી જોઈએ. આ કામ સામે પણ વિપક્ષના 8 અને સત્તાપક્ષના 5 સભ્યોએ લેખિતમાં વિરોધ રજૂ કર્યો હતો કે, આ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. આમ બજેટ બેઠકમાં સત્તાપક્ષના ચાર સભ્યોની વિપક્ષ ભૂમિકાને કારણે બજેટ નામંજૂર થતાં ખળભળાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યસૂચીના કુલ 16 પૈકી 5 કામોમાં કારોબારી અધ્યક્ષ સહિત પાંચ સભ્યોએ લેખિત વિરોધ કરી પ્રમુખની તાનાશાહી સામે બાંયો ચઢાવી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. આ બજેટ સભા સંપન્ન થયા બાદ સોજીત્રા પાલિકાના પ્રમુખ રજનીકાંત પટેલનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓએ કંઈપણ જવાબ આપવાના બદલે અકળ મૌન ધારણ કરી લીધું હતું. આ ઉપરાંત માહિતી આપવાના બદલે કમિટી ક્લાર્ક પાસેથી આજની સભાનું પ્રોસિડીંગ પણ પોતાના હસ્તક કરી લીધું હતું.

ક્યા પાંચ સભ્યોએ બળવો કર્યો ?
સોજિત્રાની ભાજપ શાસિત પાલિકાના કારોબારી ચેરમેન જિમીત ભટ્ટ સહિત કલ્પનાબેન મકવાણા (ઉપપ્રમુખ), રાહુલ અશોકભાઈ (કાઉન્સિલર), ઉન્નતિબેન રાણા (કાઉન્સિલર) અને જીગ્નેશભાઈ કા.પટેલ (કાઉન્સિલર) પાંચ કામોમાં લેખિત વિરોધ રજૂ કર્યો હતો. સત્તાપક્ષના આ પાંચ સભ્યોની વિપક્ષ ભૂમિકાને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ભાજપ પ્રમુખ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યાં
ભાજપ શાસિત સોજીત્રા નગરપાલિકામાં આજે બજેટ નામંજૂર થતાં શહેર ભાજપ પ્રમુખ અલ્કેશભાઈ પટેલનો ટેલિફોનીક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, હું અત્યારે બહાર છું, પણ મને હમણાં વાત મળી કે બજેટ નામંજૂર થયું છે. સત્તાપક્ષના સભ્યોને વ્હિપ આપવા સંદર્ભે તેઓએ કહ્યું હતું કે, આવું કંઈ બનવાના અણસાર જ ન હતાં. તો વ્હિપ ક્યાંથી આપવામાં આવે ? છતાં આ અંગે જે કંઈ ઘટતું થશે એ કરવાનો અમારો પ્રયત્ન રહેશે.

બજેટ મંજુર નથી થાય તો સુપરસીડ થશે
સોજીત્રા પાલિકાનું બજેટ નામંજૂર થતાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. જેની વચ્ચે મળતી માહિતી મુજબ આવા સંજોગોમાં રાજ્ય સરકાર વધુ એક પ્રયત્ન આપતા હોય છે. પરંતુ જો 31મી માર્ચ 2023 પહેલા આગામી નાણાંકીય બજેટ પાલિકા મંજૂર ના કરાવી શકે તો પહેલી એપ્રિલથી તમામ નાણાંકીય લેવડ દેવડ બંધ થઈ શકે છે. આ ઉપરાંત વહિવટદારનું શાસન આવવા સાથે પાલિકા સુપરસીડ પણ થઈ શકે છે ! જો કે, આ અંગે ભાજપની સ્થાનિક અને જીલ્લા નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલા સફળ રહે છે ? એ તો આવનાર સમય જ બતાવી શકે ? પરંતુ હાલ આ પાલિકા સુપરશીડ થવાના ભણકારાનો મુદ્દો નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top