શહેરના એક રેસ્ટોરન્ટ માલિકે તાપી નદીમાં કૂદી આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. યુવાન રેસ્ટોરન્ટ માલિકે નદીમાં કૂદતા પહેલાં એક વીડિયો બનાવી સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. પોતે હનીટ્રેપ ગેંગનો શિકાર બન્યો હતો. આરોપીઓ દ્વારા કરાતી રૂપિયાની માંગણીથી ત્રાસીને રેસ્ટોરન્ટ માલિકે અંતિમ પગલું ભર્યું હતું. વીડિયોમાં રેસ્ટોરન્ટ માલિક બે મહિલા સહિત ચાર આરોપીઓના નામ બોલે છે. આ વીડિયો બહાર આવતા તંત્ર દોડતું થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યોગેશભાઈ જાવિયા (48) શહેરના પાસોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. યોગેશભાઈની વરાછામાં મિની બજાર ખાતે એક રેસ્ટોરન્ટ છે. તેમની રેસ્ટોરન્ટમાં એક મહિલા કામ કરતી હતી. તે મહિલા દ્વારા યોગેશભાઈને ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે.
શું કહ્યું વીડિયોમાં..?
આપઘાત કરતા પહેલાં બનાવેલા વીડિયોમાં યોગેશ જાવિયાએ નયના અનુ ઝાલા, નયના ભરત ઝાલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. યોગેશ જાવિયાએ વીડિયોમાં કહ્યું કે, મારી હોટલમાં નયના ભરત ઝાલા કામ કરતી હતી. તેની જેઠાણી નયના અનુ ઝાલા મુખ્ય માસ્ટરમાઈન્ડ છે. તેણે મને હનીટ્રેપમાં ફસાવ્યો છે. નયના ભરત ઝાલા મને ભગાડીને લઈ ગઈ હતી અને ચાર-પાંચ દિવસ પછી પરત લઇ આવી હતી અને કહ્યું કે ચલો… હવે જવું છે. આવ્યા પછી નયના અનુ ઝાલા, જે નયના ભરત ઝાલાની જેઠાણી તેણે મારી પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા.
મને ધમકી આપી હતી. તને બદનામ કરી નાખીશું અને પૈસા આપ, નહીંતર અમે તને હેરાન કરીશું, તારી હોટલ બંધ કરાવી દઈશું, હોટલમાં આવી તોડફોડ કરીશું. આ બધી ધમકીઓથી હું કંટાળી ગયો હતો. મારું આપઘાત કરવાનું કારણ આ મહિલાઓ જ છે, જેમાં નયના અનુ ઝાલા માસ્ટરમાઈન્ડ અને નયના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા આ ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. હું આ ચાર લોકોના ત્રાસના કારણે જ આપઘાત કરું છું.
વધુમાં યોગેશે વીડિયોમાં કહ્યું હતું કે મારી પર ઘણું દેવું થયું છે. હું બધાના પૈસા ચૂકવી રહ્યો છું. મારા સાળાએ લીધેલા પૈસા હું ભરતો હતો, મારો સાળો મોતને ભેટ્યા બાદ તેના પૈસા પણ હું ભરતો હતો પરંતુ હવે મારાથી સહન થતું નથી. મારા પરિવારને નોંધારા છોડી હું આપઘાત કરું છું. વરાછા પોલીસ પાસે ન્યાયની માગ કરું છું.
બે મહિના પહેલાં યોગેશ જાવિયા ઘર છોડી ગયા હતા
મળતી માહિતી અનુસાર યોગેશ જાવિયા બે મહિના પહેલાં ઘરેથી નીકળી ગયા હતા. રેસ્ટોરાંમાં કામ કરતી મહિલા સાથે ભાગી ગયા હતા. પાંચ દિવસ પછી મહિલા પરત પોતાના ઘરે પહોંચી ગઈ હતી, જ્યારે યોગેશ જાવિયા ઘરે પહોંચ્યા નહોતા. આ દરમિયાન મહિલાના જેઠાણી દ્વારા યોગેશ જાવિયા પાસે 5 લાખ રૂપિયા માગવામાં આવ્યા હોવાનો આક્ષેપ યોગેશભાઈએ તેમના અંતિમ વીડિયોમાં કર્યો છે.
યુવકે વીડિયો બનાવી તેના જીજાજીને મોકલ્યો
યોગેશભાઈએ વીડિયો બનાવીને તેના જીજાજીને મોકલ્યો હતો અને ત્યાર બાદ આખો મામલો સામે આવ્યો હતો. ત્યારે આજે (7 ફેબ્રુઆરી)એ યોગેશભાઈની લાશ ઉતરાણ ખાતે તાપી નદીના કાંઠેથી મળી આવી હતી.
મૃતકની પત્નીના પોલીસ સામે સનસનીખેજ આક્ષેપ
યોગેશ જાવિયાના તેની રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલા સાથે સંબંધો હતા. પરિણીત મહિલાની જેઠાણી દ્વારા પૈસા માગવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. યોગેશ જાવિયાનો કોઈ પત્તો ન લાગતા તેમની પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ કામરેજ અને વરાછા પોલીસે ફરિયાદ લીધી ન હોવાનો યોગેશ જાવિયાની પત્નીએ આક્ષેપ કર્યો છે.
મૃતક યોગેશની પત્નીએ કહ્યું કે, અમે કામરેજમાં રહીએ અને પતિ મીનીબજારમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. પતિ રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલા સાથે બહાર ગયા હતા અને પાછા આવ્યા નહોતા. પતિ પાછા ન આવ્યા એટલે હું કામરેજ પોલીસ પાસે ગઈ હતી. તેમણે મારી ફરિયાદ લીધી નહીં. વરાછા પોલીસ સ્ટેશન ગઈ તો તેઓએ પણ ના પાડી. બંને પોલીસ સ્ટેશન વચ્ચે હું ધક્કા ખાતી હતી. બે દિવસ પહેલાં મારા પતિએ સુસાઈડ કરતા હોવાનો વીડિયો જીજાજીને મોકલ્યો ત્યારે પણ કામરેજ પોલીસે સ્ટેશન ગયા હતા. તેઓ જે પુલ પરથી કૂદયા હતા એ પુલ પર પણ અમે ગયા હતા. ત્યાં તેમના ચપ્પલ મળ્યા હતા. છતાં પોલીસે કોઈ મદદ કરી નહોતી.
બ્રિજ પરથી યોગેશની આ વસ્તુઓ મળી આવ્યા બાદ 100 નંબરમાં કોલ કરીને પીસીઆર વાન બોલાવવામાં આવી હતી, જોકે તેમણે એવું કહ્યું હતું કે તમે તેમને કૂદતા જોયા છે એવું પૂછીને જતા રહ્યા હતા. આ સાથે જ કામરેજ પોલીસમાં આ બાબતે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેમનું લોકેશન ગોધરા આવે છે, જે અમારા વિસ્તારમાં લાગતું નથી. આ બંને પોલીસ સ્ટેશનોએ મને ધક્કા ખવડાવ્યા છે. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
