Business

મોટા ધડાકા બાદ શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાને ખુલ્યા

નવી દિલ્હી: શેરબજારના (Stock market) રોકાણકારો માટે આજે મંગળવારે શેરબજારનો મૂડ રોકાણકારો માટે થોડો સારો જોવા મળ્યો હતો. અસલમાં સોમવારના મોટા ઘટાડા બાદ આજે શેરબજારમાં જબરદસ્ત રિકવરી (Recovery) જોવા મળી હતી, કારણ કે આજે શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ (Sensex) 963.48 પોઈન્ટના ઉછાળા સાથે 79,722.88 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી (Nifty) 295.00 પોઈન્ટના વધારા સાથે 24,350.60 પોઈન્ટ પર પહોંચી ગયો હતો.

આજે મંગળવારે ભારતીય શેરબજારમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટાટા સ્ટીલ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળે હતી. તે જ સમયે હિન્દુસ્તાન યુનિલિવર એકમાત્ર ઘટતો સ્ટોક હતો. બજારના જાણકારોનું કહેવું છે કે આજે બજાર ચોક્કસપણે ફરી ગતિ પકડી છે પરંતુ રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે વૈશ્વિક બજારમાં અસ્થિરતા છે. જેની અસર વિશ્વભરના બજારો પર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ઉતાવળા નિર્ણયો લેવાથી નુકસાન થશે. પરંતુ લાંબા ગાળા માટે રોકાણ કરવાની સારી તક છે. સારી કંપનીઓના શેરોમાં થોડા પૈસા રોકી શકાય. તેમજ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો નવી SIP શરૂ કરીને સારું વળતર મેળવી શકે છે.

અમેરિકામાં મંદીને કારણે બજારમાં મંદી?
માનવામાં આવે છે કે સોમવારે અમેરિકામાં મંદીના કારણે વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે BSE સેન્સેક્સ 2,200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 662 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક, આઈટી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. તેમજ 4 જૂન પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ 5 ઓગષ્ટના દિવસે બજાર પાંચ ટકાથી વધુ તૂટ્યું હતું. સોમવારે BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 441.84 લાખ કરોડ થઈ હતી. ત્યારે રોકાણકારોને બે દિવસમાં રૂ. 19 લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું.

બજારનો મૂડ આ કારણે ખરાબ થયો હતો
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે યુ.એસ.માં રોજગારીના નિરાશાજનક આંકડાઓને કારણે મંદી અને યેનના વિનિમય દરમાં તીવ્ર વધારો થવાની આશંકા છે જેના કારણે અન્ય દેશોની મિલકતોમાં રોકાણ અટકી જશે. ‘કેરી ટ્રેડ’ એટલે કે સસ્તા દરે ઉધાર લેવાથી રોકાણકારોમાં સાવચેતીભર્યા વલણ સાથે વૈશ્વિક બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ શેરબજારના આંકડા અનુસાર સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ લગભગ રૂ. 10 હજાર કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Most Popular

To Top