SURAT

સોનીફળિયામાં JCBથી મકાનના જોખમી ડિમોલિશન સામે વિરોધ, પાલિકા કર્મચારીઓ દોડ્યા

શહેરના કોટ વિસ્તારમાં આવેલા સોની ફળીયામાં આજે એક જૂના મકાનને જેસીબી મશીનથી જોખમી રીતે તોડવામાં આવી રહ્યું હતું. આ મામલે સ્થાનિકો તરફથી સુરત મનપાને ફરિયાદ મળતા કર્મચારીઓ દોડ્યા હતા અને ડિમોલિશનની કામગીરીને અટકાવી હતી. આ કામગીરી અટકી ગયાં બાદ સ્થાનિક રહીશોએ આ મિલકતમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સોની ફળિયામાં દત્ત મંદિર નજીક એક ડેરીની બાજુમાં મિલ્કતનું ડિમોલીશન જેસીબી મશીનથી ચાલી રહ્યું હોવાની ફરિયાદ ઝોનને મળી હતી. જેમાં આ ડિમોલીશનના કારણે આવતા જતા લોકો અને મંદિરે આવતા ભક્તોના જીવ જોખમમાં હોય તેવું લાગે છે અને વાતાવરણ ખૂબ જ દુષિત થઈ રહ્યું છે તમામ ધૂળ અને કચરો હોવાથી મંદિરમાં પણ આવી રહ્યું છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ હતો. ત્યારબાદ ઝોન દ્વારા તાત્કાલિક આ કામગીરી અટકાવી હતી. આ રીતે ડિમોલીશન થતું હોવાથી અકસ્માતનો ભય છે તેથી ફરિયાદ બાદ આ કામગીરી અટકાવી છે અને બ્રેકર મશીન અને મેન્યુઅલ કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ છે પરંતુ આ મિલકત વિધર્મીને વેચી દેવામાં આવી છે અને તેઓ તોડી રહ્યા છે પાલિકા તંત્ર એ કહ્યું છે કે, જોખમી ડિમોલિશનની ફરિયાદ છે તેની સામે કામગીરી કરવામાં આવી છે. પરંતુ અશાંતધારાના કાયદાનો અમલ કલેક્ટર કે પોલીસ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે.

Most Popular

To Top