Comments

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન સમયે પ્રજાલક્ષી ચિંતન

અમદાવાદના સરદાર સ્મારકમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું. લોકસભામાં રાહુલ ગાંધીએ ચેલેન્જ સાથે કહ્યું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવશે. જો કે એ ચેલેન્જને ગુજરાત કોંગ્રેસે જ ગંભીરતાથી લીધી નથી અને બનાસકાંઠા લોકસભા સીટ ગેનીબેન જીત્યા પછી તેમની ખાલી પડેલી વિધાનસભા સીટ કોંગ્રેસ હારી. એટલે વિધાનસભામાં તો કોંગ્રેસે વધુ એક બેઠક ગુમાવી.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ આઇસીયુમાં રહેલા દર્દી જેવી છે. તેની હાલત સુધરશે તો ઘરે જશે, હરીફરી શકશે પણ દોડ સ્પર્ધામાં વિજેતા થશે? આ કહેવું વધુ પડતું છે. વળી વિચાર-વિમર્શ દિલ્હીમાં કરો કે અમદાવાદમાં, વ્યક્તિઓ ન બદલાય, અભિગમ ન બદલાય તો વિચાર ક્યાંથી બદલાય? અને પરિણામ તો ન જ બદલાય. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ માટે ગુજરાતના સામાન્ય નાગરિકની સમજણ પણ જવાબદાર છે અને માટે થોડો વિચાર કક્ષાએ પણ કરવો જોઈએ.

કોંગ્રેસનો એક અર્થ છે સારા ઉદેશ્યને પાર પાડવા ભેગા થયેલા લોકોનો સમૂહ. કોંગ્રેસની સ્થાપના ભારતમાંથી અંગ્રેજોની જોહુકમી દૂર કરવા, અન્યાય સામે લડવા થઇ હતી. જેમાં ગાંધી અને નહેરુ જોડાયા પછી તે સંપૂર્ણ સ્વરાજ્યની લડત કરનાર બની ગઈ. આઝાદી પછી આ જ કોંગ્રેસ રાજકીય પાર્ટી બની ગઈ અને ઇન્દીરા ગાંધીએ પોતાની નવી ઇન્દિરા કોંગ્રેસ ઊભી કરી, જે કોંગ્રેસ આઈ કહેવાય છે, હાલમાં જે રાજકીય પાર્ટી છે તે તો આ ઇન્દિરા કોંગ્રેસ છે અને આ કોંગ્રેસ આઝાદીની લડત વાળી કોંગ્રસ નથી. વળી અમેરિકામાં પણ કોંગ્રેસ છે જેને ભારતની કોંગ્રેસ સાથે લેવા-દેવા નથી. દુનિયાના ઘણા દેશોમાં કોંગ્રેસ છે જે ભારતની રાજકીય પાર્ટી કોંગ્રેસથી જુદી છે.

આપણે ભારતીય રાજકારણની પ્રવર્તમાન સ્થિતિની વાત કરીએ અને કોંગ્રસની ટીકા કરીએ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે આપણે ઇન્દિરા કોંગ્રેસની વાત કરીએ છીએ ભારતમાં લોકસભાની ચૂંટણી વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી કહેતા હતા કે આમારો ઉદ્દેશ દેશને કોંગ્રેસ મુક્ત કરવાનો છે, દેશમાં કોંગ્રેસી કલ્ચર ઘુસી ગયું છે તેમાંથી દેશને બાહર લાવવો છે અને પ્રજાએ આ સ્વીકાર્યું પણ ખરું, કોંગ્રેસની વિરૂદ્ધમાં મત પડ્યા પણ યાદ રહે પ્રજાને ઇન્દિરા કોંગ્રેસ અને હાલની પ્રજાને તો ૧૯૯૧ પછીની જોડ-તોડની રાજનીતિથી ચાલતી કોંગ્રેસ સામે વાંધો હતો. પરિવારવાદ વાળી કોંગ્રેસ સામે વાંધો હતો, ઈજારાશાહી અને કેન્દ્રિત રાજ્ય વ્યવસ્થાથી વાંધો હતો. વડાપ્રધાન આવતા હોય, કોઈ નેતા આવતા હોય અને ટ્રાફિક કલાકો સુધી બંધ થઈ જાય, ઉપરથી કોઈ કાર્યક્રમ આવે છે અને અધિકારીઓ કશું જ વિચાર્યા વગર તેને અમલમાં લાવવા લાગી જાય અને પ્રજાનો મરો થાય.

લોકસભાની ચૂંટણી આવે કે વિધાન સભાની ચૂંટણી આવે, માત્ર જ્ઞાતિ-જાતિના સમીકરણોથી ઉમેદવાર નક્કી થાય. ગુનેગારોને છોડી દેવામાં આવે જો તેની પાસે મોટો મતદાતા વર્ગ છે. સરકારી નિયમમોથી અર્થતંત્ર અને સમાજ વ્યવસ્થા બંધાયેલી જાણે દેશનું સરકારી કારણ થઇ ગયું. આ હાલત સામે સૌને વાંધો હતો. યુવાનોને ખાસ વાંધો હતો અને સત્તાનું પરિવર્તન થયું. આપણે અહીં લખ્યું હતું કે વ્યવસ્થા બદલાવવાથી વિકાસ થશે. વ્યક્તિ બદલાવાથી વિકાસ નહિ થાય અને આજે જ્યારે દેશની સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે થાય છે કે ના આર્થિક ના સામાજિક કોઈ ક્ષેત્રે બદલાવ તો આવ્યો જ નહિ, ઉલટાનું જે ઇન્દિરા કોંગ્રેસમાં હતું, એ જ ભાજપમાં આવ્યું.

કેન્દ્રનું વર્ચસ્વ વધવા લાગ્યું. આર્થિક અને સામાજિક કે રાજકીય બાબતોમાં દિલ્લી જે નક્કી કરે તે થાય છે. રાષ્ટ્રપતિ હોય કે રાજ્યપાલ કે મુખ્યમંત્રી બધુ જ દિલ્લીથી નક્કી થાય છે. યોગ દિવસની ઉજવણી હોય કે સ્વછતા અભિયાન અધિકારીઓ કશું જોયા વગર આદેશો કરી દે છે. યોગ દિવસ ઉજવવો જોઈએ એટલું જ નહિ રોજ માફકસર યોગ કરવાથી ફાયદો જ થાય એ વાત સાચી પણ સરકારના રૂપિયાથી લાખો લોકો ભેગા કરી કોઈ રેકોર્ડ માટે આખા તંત્રને કામે લગાડવું તે ઇન્દિરા કોંગ્રેસના કુટુંબ નિયોજન કાર્યક્રમ જેવું લાગે છે. ભલે કોંગ્રેસ કટોકટી માટે બદનામ છે પણ આ લીખિત કટોકટી આને મીડિયા સેન્સરશીપ ઘણાને અનુભવવામાં આવી છે.

માનનીય વડા પ્રધાન શ્રી દેશને કોંગ્રેસ મુક્ત કરવા માંગતા હતા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સભ્યો કરતા પણ કોંગ્રેસની જ નીતિઓનો ભાજપ દ્વારા અમલ થતો જોઉં ત્યારે કોંગ્રેસ વધારે જીવતી લાગે છે. દેશમાં અફસરશાહી પાછી આવી છે. જી.એસ.ટી.ના અમલ પછી તો તે બધાને દેખાશે ફરીવાર રાજ્યો કેન્દ્રના આર્થિક તાબામાં આવી જાશે. આપણને એ નથી સમજાતું કે વારે વારે બંધારણની દુહાઈ દેનારા આ જી.એસ.ટી.ના અમલમાં બંધારણની સમવાય વ્યવસ્થાનો છેદ ઉડી જાય છે તેની સામે કેમ નથી બોલતા? આપણે આ જ કોલમમાં લખ્યું હતું કે જી.એસ.ટી.ના અમલ પછી રાજ્યના નાના મંત્રીઓની આર્થિક સ્વતંત્રતા જ ખલાસ થઇ જાય છે. હવે તેમને જે કહેવું હોય તે જી.એસ.ટી. કાઉન્સિલને કહેવું પડે. આમાં નાના રાજ્યો અને કેન્દ્રમાં સત્તામાં ના હોય તેવા રાજ્યોને નુકસાન થશે.

માનનીય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જી.એસ.ટી.નો વિરોધ કરતા હતા તે વાત સાચી જ હતી. તે મુખ્યમંત્રી તરીકે જે કરી શકત, ઉદ્યોગોને લાભ આપી શકત, તે જી.એસ.ટી. લાગુ હોત તો આપી શકત? રાજ્યો વચ્ચે વેરા બાબતે જે સ્પર્ધા ચાલતી હતી, રાજ્યોને વેરા માફીની જે સત્તા હતી તેનો ઉપયોગ કરીને જ મોદી સાહેબ ઉદ્યોગપતિઓમાં પ્રિય બનેલા. હવે આ સત્તા કેન્દ્ર પાસે ગઈ એટલે હવે પણ મોદી સાહેબ તો સાચા જ છે, વિચારવાનું તો બિન ભાજપી રાજ્યોના મુખ્યમંત્રીઓએ છે. થોડા જ વખતમાં આ અનુભવ બધાને થશે. ટૂંકમાં ભારતમાં પરિસ્થિતિનું પરિવર્તન નથી થતું, પુનરાવર્તન થાય છે. નામ બદલાય છે પણ નિયત બદલાતી નથી. કોંગ્રેસ મુક્ત ભારતના સપના જોનારા ભાજપ ક્યારે કોંગ્રેસ મુક્ત થાય તેની રાહ જુવે છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top