સપા સાંસદ અબુ આઝમી દ્વારા ઔરંગઝેબ અંગે આપવામાં આવેલા નિવેદન બાદ મુઘલ શાસકની કબરને દૂર કરવાની માંગ જોર પકડી રહી છે. મુઘલ શાસક ઔરંગઝેબનો મકબરો મહારાષ્ટ્રના સંભાજીનગરમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ પક્ષો જેમાં શિવસેના, મનસે અને કોંગ્રેસ પણ સામેલ છે, ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગને સમર્થન આપી રહ્યા છે. આ અંગે તમામ પક્ષોના નેતાઓના નિવેદનો બહાર આવ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન ઔરંગઝેબના મકબરાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી રક્ષણ મળ્યું છે. નહીંતર અમે મુઘલ શાસકની કબર દૂર કરવા માંગીએ છીએ. સીએમ ફડણવીસના આ નિવેદનનો વિરોધ કરતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. નાના પટોલેએ કહ્યું તે ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ દર વખતે કોંગ્રેસ પર નિશાન સાધે છે. હંમેશા કોંગ્રેસને દોષ આપવો ખોટું છે. સરકારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.
ભાજપના નેતા સુધીર મુનગંટીવાર કહે છે કે તેમણે અફઝલની કબર પરથી અતિક્રમણ દૂર કર્યું હતું તો તેઓ પોતાનો વિચાર કેવી રીતે બદલી શકે. તેમણે કહ્યું કે મહા વિકાસ અઘાડી ઔરંગઝેબની કબર રાખવા માંગે છે, જ્યારે મહારાષ્ટ્ર સરકાર તેને દૂર કરવા માંગે છે. એટલું જ નહીં તેમણે ઔરંગઝેબને રાવણ પછી બીજો સૌથી દુષ્ટ વ્યક્તિ પણ કહ્યો હતો.
શિવસેનાના નેતા શંભુરાજે દેસાઈએ કહ્યું કે તેમની સરકાર ઔરંગઝેબની કબર દૂર કરવા માંગે છે અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. ભાજપના નેતા શિવેન્દ્રરાજે ભોંસલેએ પણ સ્પષ્ટપણે કહ્યું કે ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં ન રહેવી જોઈએ. આમાં કોઈને ખોટું લાગવા જેવું કંઈ નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના બાલા નંદગાંવકરે કડક શબ્દોમાં કહ્યું કે શિવાજી મહારાજને પરેશાન કરનાર અને સંભાજી મહારાજને મારનાર ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં જરૂરી નથી. તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જોઈએ.
