Comments

રાજકીય જાહેરાતોથી ગરીબી દૂર થવાની નથી: લીયો ટોલ્સટોયનું શતાબ્દી પૂર્વે આલેખન

મહાત્મા ગાંધી જેમને સત્યમૂર્તિ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા તરીકે જાણતા તે લીયો ટોલસ્ટૉય (૧૮ર૮-૧૯૧૦) રશિયાનાં પાટનગર મોસ્કોમાં સ્થળાંતર કરીને આવતાં ગામડાંનાં ગરીબોને જોઈને ચિંતિત છે. લેખક તરીકે પોતાની સંવેદના વર્તમાનપત્રોની કોલમમાં પ્રકાશિત કરવા સાથે તેઓ ગામડાંની ગરીબી દૂર કરવા સ્વ-પ્રયત્નો પણ માંડે છે.

ટૉલ્સટોય નોંધે છે કે, ભૂખ અને રોગથી પીડાતાં, કામ-ધંધા અને આવાસના અભાવથી ભટકતાં દયાજનો મોસ્કોમાં આશાના તાંતણે ખેંચાઈ તો આવે છે પરંતુ શહેરમાં આવવા છતાં નથી તો તેમનાં ફાટલાં કપડાં કાતિલ ઠંડી, પવન રોકી શક્તાં નથી તો તેમનાં બગડેલાં પેટ તેમને કંઇ વધુ રાહત આપી શક્તાં. પરિણામે સ્ત્રીઓ અને બાળકોને વેશ્યાવૃત્તિમાં ધકેલે છે. પુરુષો દુ:ખ ભૂલવા સસ્તા દારૂ અને જુગારમાં રચ્યાપચ્યા રહે છે તો પેટનો ખાડો પૂરવા બાળકો મજૂરીમાં તો કોઈ લૂંટફાટ કરી જીવન ગુજારે છે અને જે ગરીબો પોલીસ કે સરમુખત્યારોના હાથમાં લાગી જાય છે તેઓને તો જાહેરમાં હાથ-પગ કે માથું ઉતારી લેવાની શિક્ષા ભોગવી જીવતાં જીવ નરક ભોગવે છે.

લેખક સ્વયં સમૃદ્ધ ઘરના રહીશ છે. ગાલીચા,વિશાળ ગરમ ઓરડા, સ્વચ્છ મોભાદાર કપડાં અને વિવિધ રંગ-આકારનાં કપડાં પહેરી શકે છે. બુદ્ધિજીવી પત્રકાર તરીકે તેઓનું શહેરી સમુદાયમાં સ્થાન છે. પરંતુ ગરીબીના સમુદ્રમાં પોતાનો વિલાસી ટાપુ લેખકને કોરી ખાય છે. આમ છતાં, ગામડાંમાં ટાંચાં સાધનોથી જીવન વિતાવતા અને મહદ્ અંશે સુખી લોકોના અહેસાન ઉપર મજૂરી મેળવતાં શ્રમિકોની સ્થિતિનો જાત અનુભવ કરવા સિમન પિટર નામના મજદુર સાથે લાકડાં ફાડી મળતી રોજીમાંથી જીવન વિતાવવાનો પ્રયોગ કરે છે. મજૂરોની કૉલોનીમાં રહેતા લિયો ટોલસ્ટૉય અનુભવે છે કે, ‘ગરીબી સ્વયં એક આદત બની જાય છે. સાધનોના અભાવે શ્રમશક્તિ, વ્યસન, વેશ્યાવૃત્તિ, બાળમજદુરી, ગુલામીની સ્થિતિમાં ધકેલાય છે. એટલું જ નહીં પણ કુપોષણ, રોગ, અકાળ વૃદ્ધાવસ્થાના વિષચક્રમાં તેઓ વધુ ને વધુ ઊંડાં ઊતરતાં જાય છે.’

લેખક પોતાની પારિશ્રમિક કમાણી ગરીબોમાં વહેંચી દે છે. ‘ઉઘાડાને ઢાંકજે, ભૂખ્યાનું પેટ ભરજે’ તેવો આદેશ આપનાર બાયબલમાં શ્રદ્ધા ધરાવતાં ધાર્મિક જૂથોની મદદથી ગરીબોને રૂબલ આપે છે. પરંતુ થાય છે એવું કે ગરીબ સમુદાય પોતાની વૃત્તિને છતી કરતાં દરવાજે આવેલ દાનવીરોને જ લૂંટી લે છે.

લોકશાહીના નામે રાજકીય પક્ષો ‘ગરીબી હટાવો, ગરીબી મીટાઓ’ના નારા જોરશોરથી પ્રચલિત કરવા સક્રિય રહે છે. તે વેળાએ એક વર્ષ સુધી ખિત્રોવની શ્રમિક વસાહતમાં રહેનારા ટોલસ્ટૉય આજથી ૧૫૦ વર્ષ પહેલાં પોતાના જાત અનુભવથી કહે છે કે, ‘શ્રમિકો માટે ગરીબી એ સ્વભાવગત બીમારી બની જાય છે અને માત્ર રાજકીય જાહેરાતોથી તેમની પરિસ્થિતિમાં બદલાવ લાવી શક્તો નથી. ઘેટાં-બકરાં બાંધી રાખી ચારો-પાણી નાખીએ તેમ માનવ સમુદાય વિકાસિત રહી શકે નહીં. સમાન સામાજિક દરજ્જાથી જ માનવજાત ટકી શકે છે.’

આજથી ૨૭૦૦ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે વૃદ્ધાવસ્થા, માંદગી અને મૃત્યુને જોતાં સમાજને બૌદ્ધિક જ્ઞાન તરફ દોર્યો તેમ રશિયન લેખક What then shall we do”નામના પુસ્તકના પાને સમાજવાદી સમાજરચનાને ઉપાય તરીકે ઉદ્ઘોષિત કરે છે. મોહનદાસ ગાંધીએ જેમના વિચારોને આધાર બનાવી દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ સ્થાપી જાડું અનાજ, જાડાં વસ્ત્રો અને જાડી હથેળીનો રાહ અપનાવ્યો તેમ ટોલસ્ટૉય એક સાધનસજ્જ પૈસાપાત્ર લેખક તરીકે અનુભવી જણાવે છે કે ‘મુઠ્ઠીભર સત્તાધિપતિઓને વિલાસ માટે પ્રાકૃતિક સ્રોતનો મહત્તમ હિસ્સો વપરાઈ જાય છે. ‘

મોસ્કોમાં પરવાનો લઈને વસતાં ૨૦,૦૦૦ ગરીબો શહેરી સમુદાય માટે તો વપરાશનું સાધન માત્ર છે. મોસ્કોના આવા એક ગાર્બેજ એરિયા તરીકે જાણીતા ખત્રોવની બજાર વેશ્યાઓ, રોગીઓ, દારૂડિયા અને જુગારીઓ તથા બાળ મજદૂરોથી ખદબદતો જોઈ લેખક વધારે વ્યથિત બને છે. બજારવાદનો વિપ ટોલસ્ટૉય પાસે નથી. આમ છતાં, સામાજિક પાપ અને દુ:ખનાં કારણોને તપાસતાં અનુભવે છે કે ‘ગરીબીનું કારણ ગુલામી છે. ગુલામીનું કારણ જમીન ઉપર રહીશોનો કબ્જો છે. શહેરનાં સંપન્ન લોકો કાચો માલ તૈયાર કરનાર મજદૂરો ઉપર જોરજુલમ આચરી તૈયાર માલ-સામાન ઊંચી કિંમતે વહેંચી અમાનવીય આનંદ મેળવ્યાનું ગૌરવ અનુભવે છે.’

સમાજજીવન સાથે ઓતપ્રોત રહીને જીવન સમજવાની પદ્ધતિ અખત્યાર કરનાર ટોલસ્ટોયને અમેરિકા અને યુરોપની ગરીબી માટે પણ નિરક્ષરતા, ટાંચાં સાધનો તથા શહેરી સમુદાયની શોષણ મનોવૃત્તિ સમાન રીતે જવાબદાર લાગે છે. ટોલસ્ટૉય ઉપાય તરફ આગળ વધતાં લખે છે કે, ‘મજૂરીની પરવશતામાંથી સમાજને બહાર કાઢવા ગ્રામ્ય યુવકોને શિક્ષણ, વિજ્ઞાન અને તકનિકના સહારે સ્વાવલંબન તરફ લઈ જવાં પડશે.’ શૃંગાર, ભોગ અને સાધનોના દુર્વ્યયને પ્રતિષ્ઠા ગણતાં નગરજનો પ્રત્યે ભારોભાર સૂગ સ્પષ્ટ કરી લીઓ શહેરો ઉપર ઉપભોગતા કરબોજ નાખીને ગામડાંઓ તરફ પાછા વળવા સમાજને હાકલ કરે છે. શ્રમ પ્રત્યેની સૂગ ખંખેરી લેખક પોતાને ૮-૮ ક્લાક પરસેવાની કમાણી માટે જોતરે છે અને અનુભવે લખે છે કે, ‘સ્વૈચ્છિક શ્રમથી સર્જનશીલતા વિસ્તરે છે. આનંદ અને સ્વાસ્થ્ય ખીલી ઊઠે છે. સરવાળે બૌધિકતાને ન્યાયનું કવચ મળતાં જીવનમાં વધુ સત્ત્વશીલતા ઉમેરાય છે.’

મૂડીવાદ અને ઔદ્યોગિક ક્રાંતિની બોલબાલા વચ્ચે પણ ‘શ્રમ સાગરમાં ટીપુ’ એવા મથાળે ૨૦મો લેખ લખીને લીયો પ્રત્યેક નાગરિકને સ્વ આચરણ માટે પ્રેરે છે અને કહે છે (૧)પોતાની જાત કે બીજા સાથે જુઠ્ઠો વ્યવહાર કરવો નહીં (ર)જાત મહેનતથી પોતાની જરૂરિયાતનું અન્ન પેદા કરવું. (૩)સ્વ-ગુજરાન માટે પ્રકૃતિનો આધાર લેવો.(૪)પ્રામાણિક્તાથી જ કમાઇ મેળવવી (૫)પોતાનું કામ જાતે જ કરવું. (૬)અંતર આત્માના અવાજને પ્રાધાન્ય આપવું.

અસહાય વ્યક્તિને ધન અને સત્તાના જોરે ખરીદી લઈ પોતાની માલિકીનાં ગુલામ માનસની મિજબાનીનું ગૌરવ અનુભવાતા મૂડીપતિઓને ડંકાની ચોટે ટોલસ્ટૉયે જણાવ્યું કે, ‘ખોટી ટેવ ઘટાડશો તો જ ખર્ચ ઘટશે અને શરીરસૌષ્ઠવ વધશે. સામાજિક સમરસતા વધારીશું તો જ સમાજમાં તંગદિલી ઘટશે.’ શ્રમના ગૌરવને વ્યક્તિ વિકાસ સાથે સ્થાપિત કરી સમાજવાદી સમાજરચનાને રાહ આપનાર લીયો ટોલસ્ટોયે સત્તાના જોરે ગુલામી, ગુલામીના ટેકે બૃહદ્ ઉત્પાદન અને અતિ વપરાશથી વિલાસ તરફ જવાના શહેરી અભિગમને વિનાશકારી ગણાવ્યા છે.

‘હે ઍરકન્ડિશનર ચેમ્બર, કૉફીની ચુસકી અને ઈન્ટરનેટના ડેટાને લઈ શબ્દોની રંગોળી સજાવતા સાહિત્યકારોની કૃતિ અત્યંત ટૂંકું આયુષ્ય ભોગવી પસ્તીમાં પડી જાય છે તે વેળાએ એક શતાબ્દી પહેલાં મૂડીવાદના ધસમસતા પ્રવાહ સામે ઊભા રહી લીયો ટોલસ્ટોયે ભોગવાદી સમાજવ્યવસ્થાને વખોડી, સ્ત્રીઓને સમાન દરજ્જો આપવા હિમાયત કરી સત્તાના કેન્દ્રીયકરણના વિનાશમાંથી બચવા સમાજવાદી સમાજરચનાનું બીજ રોપ્યું તે આજે એક શતાબ્દી પછી પણ અનુકરણીય બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top