Dakshin Gujarat

સાપુતારા ઘાટમાં થતા અકસ્માતો ઘટાડવા પોલીસ, RTO કરી રહી છે આ કામ

સાપુતારા : ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકે અકસ્માતોને ઘટાડવા સંદર્ભે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. જેમા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને ઘટાડવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ મિટિંગમાં ડાંગ RTO અધિકારી એસ.કે.પટેલ, નેશનલ હાઈવે ઓથોરિટીનાં ડેપ્યુટી એન્જિનિયર વિપુલ પંચાલ, સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઇ. એન.ઝેડ.ભોયા, પી.એસ.આઈ. એમ.જી.શેખ અને અન્ય સંબંધિત વિભાગોનાં અધિકારીઓએ હાજર રહી વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરી હતી. ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટ માર્ગમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. તેમજ ઘણી વખત અકસ્માતમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.

આ મિટિંગમાં સાપુતારા ઘાટમાર્ગમાં વારંવાર થતા અકસ્માતોના કારણોની ચર્ચા કરવામાં આવી હતી અને તેને ઘટાડવા માટેના પગલા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. મિટિંગમાં ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોને આવરી લેવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમકે, મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા મોટા ગુડ્ઝ વાહનોને ડાયવર્ટ કયા રસ્તેથી કરી શકાય અને તે માટે પણ મહારાષ્ટ્ર રાજ્યના સરાડ, બુબલી, સુરગાણા વગેરે ગામનાં રોડની મુલાકાત લેવામાં આવી હતી. અને આ બાબતની ચર્ચા વિચારણા કરી ટૂંક સમયમાં પ્રશ્નનો નિરાકરણ કરી અમલીકરણ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશેનું જણાવ્યુ હતુ.

Most Popular

To Top