National

PM મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી, આખી કેબિનેટે ટેબલ થપથપાવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. ભારતીય સશસ્ત્ર દળોએ મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન નવ આતંકવાદી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યાના કલાકો પછી વડા પ્રધાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરી.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેબિનેટને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. આ પછી સમગ્ર મંત્રીમંડળે ટેબલ થપથપાવીને વડા પ્રધાનના કાર્ય અને નેતૃત્વને બિરદાવ્યું. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાને સંરક્ષણ પ્રધાન અને NSA અજિત ડોભાલને પણ અલગથી મળી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે ક્યાં ક્યાં હુમલા કર્યા?
અગાઉ પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. આમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનો ઠેકાણો શામેલ છે. પહેલગામ હુમલાને પગલે પ્રધાનમંત્રીએ અગાઉ સશસ્ત્ર દળોને આતંકવાદ વિરોધી કામગીરીના ઉદ્દેશ્યો, રીત અને સમય નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા.

Most Popular

To Top