National

પાકિસ્તાનના ટાર્ગેટ પર ગોલ્ડન ટેમ્પલ હતું, ભારતે આ રીતે બચાવ્યું, સેનાએ લાઈવ ડેમો બતાવ્યો

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ અને પંજાબના અન્ય શહેરોને નિશાન બનાવીને મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તે મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી.

15મી પાયદળ ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ સોમવારે જણાવ્યું હતું કે સેનાના એર ડિફેન્સ ગનર્સે ગોલ્ડન ટેમ્પલ પર છોડવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા છે.

મેજર જનરલે કહ્યું કે એ વાત જાણીતી છે કે પાકિસ્તાની સેના પાસે કોઈ નિશ્ચિત ટાર્ગેટ નથી. અમને અંદાજ હતો કે તેઓ ભારતીય સૈન્ય મથકો, ધાર્મિક સ્થળો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવશે. આમાંથી ગોલ્ડન ટેમ્પલ સૌથી મોખરે હતું. ગોલ્ડન ટેમ્પલને સંપૂર્ણ હવાઈ સંરક્ષણ કવચ પૂરું પાડવા માટે અમે વધારાના આધુનિક શસ્ત્રો ભેગા કર્યા હતા. ગઈ તા. 8 મેના રોજ સવારના અંધારામાં પાકિસ્તાને માનવરહિત હવાઈ શસ્ત્રો, મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને એક વિશાળ હવાઈ હુમલો કર્યો.

તેમણે કહ્યું કે અમે આ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતા કારણ કે અમે તેની અપેક્ષા રાખી રહ્યા હતા. આપણા બહાદુર અને સતર્ક આર્મી એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા અને સુવર્ણ મંદિર પર નિશાન સાધેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા. આ રીતે અમે અમારા ગોલ્ડન ટેમ્પલ પર કોઈ આંચ આવવા દીધી નહીં.

તેમણે કહ્યું કે ભારતીય સેના એક પ્રોફેશન્લ અને રિસ્પોન્સીબલ દળ છે, જેણે હંમેશા કોઈપણ ઉશ્કેરણી વિના સંયમિત રીતે જવાબ આપ્યો છે. અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર જ સચોટ હથિયારોથી હુમલો કર્યો છે, જેનો પાકિસ્તાની સેનાએ પણ સ્વીકાર કર્યો છે.

પાકિસ્તાની સેના પાસે ભારત પર હુમલો કરવા માટે કોઈ નિશ્ચિત ટાર્ગેટ નહોતો અને ન તો પાકિસ્તાની સેના પાસે ભારતીય સેનાનો સામનો કરવાની હિંમત અને ક્ષમતા છે. પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ રાષ્ટ્રીય નીતિ તરીકે કરે છે. પાકિસ્તાને તેની ધરતી પરથી માનવરહિત હવાઈ શસ્ત્રોનો ઉપયોગ કર્યો.

ભારતીય સેનાએ સોમવારે આકાશ મિસાઇલ સિસ્ટમ, L-70 એર ડિફેન્સ ગન સહિત ભારતીય એર ડિફેન્સ સિસ્ટમનું પણ પ્રદર્શન કર્યું, જેમાં દર્શાવવામાં આવ્યું કે તેણે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ અને પંજાબના અન્ય શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખ્યા.

મેજર જનરલે જણાવ્યું હતું કે ભારતીય દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં અનેક સ્થળોએ સચોટ હુમલા કર્યા હતા. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી ગઢ પર હુમલો કરવામાં આવ્યો. આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી મુરીદકે લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક છે જ્યારે બહાવલપુર જૈશ-એ-મોહમ્મદનું ઠેકાણું છે. આ હુમલાઓ પછી અમે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે અમે ઇરાદાપૂર્વક પાકિસ્તાનના કોઈપણ લશ્કરી સ્થાપનો અથવા નાગરિક માળખાને નિશાન બનાવ્યા નથી.

Most Popular

To Top