Comments

ક્રિકેટમાં બેઠું થવાના પાકિસ્તાનના પ્રયત્નો

એક સમય હતો, લગભગ બે અઢી દશક અગાઉ, જયારે ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો સેલીબ્રિટીઓ હતા. એ પછી પાકિસ્તાનની ત્રાસવાદતરફી નીતિઓ અને ઘરઆંગણાની આર્થિક કંગાલિયતને કારણે પાકિસ્તાન ક્રિકેટની નોંધ દુનિયામાં ‘ઓલ્સો રેન’(એ પણ દોડયો હતો) તરીકે લેવાઇ રહી છે. એ પુરવાર થઇ ચૂકયું છે કે રમવા માટે સામે હરીફ તરીકે ભારત ન હોય તો પાકિસ્તાનની ટીમની કિંમત ખાસ રહેતી નથી. પાકિસ્તાનનું ક્રિકેટ સ્ટેટસ ખાડે ગયું છે તેમાં વધુ દોષ ક્રિકેટરોને બદલે પાકિસ્તાની ક્રિકેટના હકિમોને છે. મેચ ફિકસિંગમાં સામેલ થઇ અમુક ટેલેન્ટેડ ક્રિકેટરોએ પાકિસ્તાનની આબરુ ગુમાવી તે અલગ છતાં મહત્ત્વની વાત છે.

બીસીસીઆઇના સેક્રેટરી અને દેશના ગૃહમંત્રીના પુત્ર અમિત શાહના પુત્ર જય શાહ એશિયા ક્રિકેટ કાઉન્સીલના પ્રમુખ પણ છે. હવે એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે અને ડિસેમ્બરમાં તેઓ નવો હોદ્દો સંભાળશે. જય શાહ માટે આ એક કસોટીભર્યો હોદ્દો અને કાળ હશે. એ આઇસીસીઆઇ અધ્યક્ષ ચૂંટાઇ આવ્યા બાદ ભારત-પાકિસ્તાન ક્રિકેટ તેમજ એશિયન ક્રિકેટ બાબતમાં એમણે મહત્ત્વના નિર્ણયોનો ભાગ બનવું પડશે અથવા સાક્ષી બનવું પડશે.

હમણાં શાંઘાઇ કોઓપરેશન મહાપરિષદ (સમિટ)ની પાકિસ્તાનમાં યોજાઇ રહેલી પરિષદમાં પાકિસ્તાને ભારતને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ કહીને એ આમંત્રણ પાછું ઠેલી દીધું કે પાકિસ્તાન સાથે બિનઅંતરાય વાતચીત કરવાનો સમય જતો રહ્યો છે. ટૂંકમાં ભારત પાકિસ્તાન સાથે કોઇ વાતચીત કરવા તૈયાર નથી જયારે પાકિસ્તાન તરફથી ભારતમાં ત્રાસવાદી કૃત્યો આચરવામાં આવી રહ્યાં છે તેનો અર્થ એ કે ભારત પાકિસ્તાન સાથેના ક્રિકેટ રમવાના સંબંધો પણ શરૂ નહીં કરે.

આર્થિક અવદશા ભોગવતા પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને ભારત સાથે પાકિસ્તાનમાં ક્રિકેટની મેચો યોજાય તો ટકી રહેવા જેટલો આર્થિક લાભ પણ મળે તેમ છે. બીજી તરફ જય શાહ આઇસીસીના અધ્યક્ષ થયા છે અને એમની ફરજ બનશે કે દુનિયાની તમામ ક્રિકેટ ટીમો તરફ સમાનતાનો ભાવ દાખવે. હવે જો જય શાહ ભારત પાકિસ્તાનની મેચો શરૂ કરાવવાનો પ્રયત્ન કરે અને ભારત સરકાર મેચો યોજના માટે સંમત થાય તો પિતાની વગનો ઉપયોગ કરવાનો જય શાહ પર આરોપ આવી ચડે. જો જય શાહ બંને દેશો વચ્ચે મેચો શરૂ ન કરાવે તો કશું કર્યું નહીં તેવું આળ આવી ચડે. જો કે ભારત સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે તેથી જય શાહે કોઇ ખાસ અવઢવમાં રહેવું પડશે નહીં.

જય શાહ, સ્વાભાવિકપણે જ હવે એસીસીના પ્રમુખ નહીં રહે. એમની વિદાયને કારણે પાકિસ્તાન ક્રિકેટમાં થોડી ઉત્તેજના અને થોડું જોમ આવ્યું છે. હવે એસીસીના પ્રમુખ તરીકે કોણ આવશે તે નક્કી નથી છતાં એવી વાત ચાલી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાનની આંતરિક બાબતોના પ્રધાન મોહસીન આ પદ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન બંનેના ગૃહ મંત્રીઓ પોતપોતાના દેશમાં સીધી કે આડકતરી રીતે ક્રિકેટને લગતા નિર્ણયોમાં જોડાયેલા હોય ત્યારે સ્થિતિ વધુ રોચક અને રસપ્રદ બને છે.

ભારતની પ્રજાને પણ હવે પાકિસ્તાનના ક્રિકેટરો પ્રત્યે અગાઉ હતો તેવો લગાવ નથી. વિશ્વકપ વખતે અમદાવાદના સ્ટેડિયમમાં તેઓને હકલાવવામાં આવ્યા હતા. એવી જ ઘટનાઓ તાજેતરમાં અમેરિકામાં ન્યુ જર્સી ખાતેની મેચોમાં ઘટી હતી. ભારતના ક્રિકેટ સત્તાધીશોએ ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરોનો વધુ પડતો ભાવ આપ્યો ત્યારે ક્રિકેટના સત્તાધારીઓની સોશ્યલ મિડિયામાં ખૂબ ટીકા થઇ હતી. ટૂંકમાં ભારતના રાજકીય હાકેમો પણ જાણે સમજે છે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમવાથી ભારતનું કશું જ ખાટુંમોળું થઇ જવાનું નથી. ઉલટાનું મેચો યોજવાનો નિર્ણય લેશે તો નિંદા તેમજ ટીકાના અધિકારી બનશે.

હમણાં બાંગલા દેશે બે મેચની ટેસ્ટ સિરિઝમાં પાકિસ્તાનને એની જ ધરતી પર ઇતિહાસમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ હરાવી દીધી. બંને મેચોમાં પાકિસ્તાનનો દેખાવ સાવ કંગાળ રહ્યો ન હતો, પણ છતાં પાકિસ્તાને પકડ ગુમાવી દીધી હતી. પાકિસ્તાની તેના પોતાના દેશમાં છેલ્લે રમાયેલી દસે દસ ટેસ્ટ મેચ હારી ગયું છે અને કાં તો મેચો ડ્રોમાં પરિણમી હતી. છ મેચ હારી ગયું અને ચાર ડ્રો થઇ. હવે આવતા મહિને ઇંગ્લેન્ડની ટીમનો પાકિસ્તાનનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે, પરંતુ ત્રણ ટેસ્ટ મેચો માટેના સ્થળ હજી નક્કી થયાં નથી.

ન થયાં તે મહત્ત્વની વાત નથી. મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન નિર્ણય નથી લઇ શકતું કે કયા કયા સ્થળે મેચો યોજવી? કારણ કે સલામતીની સમસ્યા ખુદ પાકિસ્તાનને મોટા પાયે સતાવી રહી છે. બલોચિસ્તાન લિબરેશન આર્મીએ આખા પાકિસ્તાનનો ધ્યાનભંગ કર્યો છે. મેચોના વેન્યુઓ નક્કી નહીં કરવામાં બીજી અડચણ એ છે કે કરાંચી, રાવળપીંડી અને મુલતાન ખાતેનાં સ્ટેડિયમોનું સમારકામ ચાલી રહ્યું છે તે હજી પૂરું થયું નથી. કારણ કે માર્ચ 2025માં આઇસીસી ચેમ્પિયન ટ્રોફી પણ પાકિસ્તાનમાં યોજાવાની છે.

વરસ 1996 પછી પાકિસ્તાનમાં આઇસીસીની નિશ્રામાં આ પ્રથમ ક્રિકેટ ઇવેન્ટ હશે. 1996માં પાકિસ્તાને ભારત અને શ્રીલંકા સાથે ઓડીઆઇ વર્લ્ડ કપનું સહિયારું યજમાનપદ સ્વીકાર્યું હતું. પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ ખૂબ ઓછા પ્રમાણમાં યોજાય છે. ખાસ કરીને 2009માં લાહોર ખાતે શ્રીલંકાની ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો તે પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાંથી પાકિસ્તાનનો એકડો નીકળી ગયો હતો.આવતા વર્ષે યોજાનારી આઇસીસી ટ્રોફી મેચો એક મિનિ વન ડે કપ સિરિઝ છે જેમાં 2023માં વર્લ્ડ કપ ઓડીઆઇમાં ટોચ પર રહેલી આઠ ટીમો 2025ની સ્પર્ધામાં ભાગ લેશે. તેમાં પાકિસ્તાન ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બાંગલા દેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા હશે. હાલમાં આ ટ્રોફી પાકિસ્તાન પાસે છે અને 2017માં તેણે ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિઓ ખૂબ બદલાઇ ગઇ છે. ભારત એ સ્પર્ધામાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે કે કેમ? તે કહેવું મુશ્કેલ છે. ભારતે પોતાનું વલણ સ્પષ્ટપણે જાહેર કર્યું નથી. છેલ્લાં 16 વર્ષથી ભારત પાકિસ્તાનમાં રમવા ગયું નથી.

છેલ્લે 2008માં એશિયા કપમાં કરાંચી ખાતે ભારત ધોનીની કપ્તાનીમાં શ્રીલંકા સામે ફાઇનલ મેચ હારી ગયું હતું તે છેલ્લી મેચ હતી. ભારતની પાકિસ્તાન સામેની દ્વિપક્ષીય સિરિઝ વર્ષ 2006માં રમાઇ હતી.પાકિસ્તાન એનાં સ્ટેડિયમો રિપેર કરવા પાછળ સાડા ચાર કરોડ ડોલર વાપરી રહ્યું છે, જે એની કેપેસિટી જોતાં ખૂબ મોટી રકમ ગણાય. આ ઉપરાંત પાકિસ્તાન મહિલાઓની રમતગમતો માટેનું પણ આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાન ઘર આંગણે નવી ક્રિકેટ સ્પર્ધાઓ પણ, નવા ખેલાડીઓ શોધી કાઢવા અને તૈયાર કરવાના આશયથી યોજી રહ્યું છે. તે માટે પાંચ ક્ષેત્રિય ટીમો તૈયાર કરાઇ છે, જેઓ આપસમાં રાષ્ટ્રીય ટ્રોફી માટે લડશે. કહે છે કે વર્તમાન ટેસ્ટ કેપ્ટન શાન મસૂદની જગ્યાએ નવો કેપ્ટન નિમાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top