Sports

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાને ફરી ICCને ફરિયાદ કરી, હવે શું થયું જાણો..

એશિયા કપમાં ભારત સામે બીજી કારમી હારનો સામનો કર્યા પછી પાકિસ્તાન હવે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બહાના શોધી રહ્યું છે. ફરી એકવાર પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નો સંપર્ક કર્યો છે. આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફખર ઝમાનના કેચ અંગે ICCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર PCB માને છે કે ટીવી અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેએ ફખર ઝમાનને ખોટી રીતે આઉટ આપ્યો હતો. આ ઘટના મેચની ત્રીજી ઓવરમાં બની હતી, જ્યારે ભારતીય વિકેટકીપર સંજુ સેમસને એક કેચ લીધો હતો જેને બોલ સંપૂર્ણપણે કેચ થયો છે કે નહીં તે ચકાસવા માટે ત્રીજા અમ્પાયર પાસે મોકલવામાં આવ્યો હતો.

તે સમયે ફખરે 8 બોલમાં 15 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું. રુચિરાએ કેચનું મૂલ્યાંકન કરવા માટે બે ખૂણાઓની તપાસ કરી. એકમાં એવું લાગતું હતું કે બોલ સેમસનના ગ્લોવ્સ સુધી પહોંચતા પહેલા જમીનને સ્પર્શી ગયો હતો, જ્યારે બીજામાં સ્પષ્ટપણે દેખાતું હતું કે તેણે બોલને યોગ્ય રીતે પકડ્યો હતો.

આખરે, થર્ડ એમ્પાયર રુચિરાએ ફખરને આઉટ જાહેર કર્યો હતો. પાકિસ્તાની ઓપનર થર્ડ એમ્પાયરના આ નિર્ણયથી સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે નારાજગી વ્યક્ત કરવા સાથે ગ્રાઉન્ડ છોડ્યું હતું.

કેપ્ટન સલમાન આગા પણ ફરિયાદ કરતા જોવા મળ્યા
મેચ પછી, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું કે તેમનું માનવું છે કે તે આઉટ નહોતો. તેમણે વધુમાં કહ્યું કે જો ફખર આઉટ ન થયો હોત તો પાકિસ્તાન 20 વધુ રન ઉમેરી શક્યું હોત, જોકે તેમણે એવું કહ્યું નહીં કે અમ્પાયર સંપૂર્ણપણે ખોટો હતો.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સલમાને કહ્યું, “અમ્પાયર પણ ભૂલો કરી શકે છે. પરંતુ મને લાગ્યું કે બોલ વિકેટકીપર સુધી પહોંચતા પહેલા જમીન પર અથડાઈ ગયો હતો. હું ખોટો હોઈ શકું છું. (ફખર) જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, જો તે પાવરપ્લે સુધી ટકી રહ્યો હોત, તો આપણે 190 રન બનાવી શક્યા હોત.” નોંધનીય છે કે ભારતે આ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.

Most Popular

To Top