Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ઈરાનના (Iran) રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું (President Ibrahim Reisi) હેલિકોપ્ટર ક્રેશ થતા નિધન થયું હતું. ઘટના ગઇકાલે રવિવારે બની હતી. જ્યારે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને ઘણા ઈરાની અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ (Helicopter crash) થયું હતું.

અસલમાં ગઇકાલે રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને તેમના વિદેશ મંત્રી તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઈલ) ઉત્તર પશ્ચિમમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો અન્ય હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી બે સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા. તેમજ બાકી બચેલા રાષ્ટ્રપતિના એક હેલિકોપ્ટરને શોધવા માટે મોટી સંખ્યામાં રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસના કારણે રેસ્ક્યુ ટીમોને અકસ્માત સ્થળ શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સમગ્ર મામલે ઈરાનના અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું ક્રેશ થયેલું હેલિકોપ્ટર મળી આવ્યું હતું. જો કે હેલિકોપ્ટર ખુબ જ ખરાબ પરિસ્થિતીમાં મળી આવતા રાષ્ટ્રપતિ રઇસીના જીવિત હોવાની શક્યતા ઓછી હોવાની સંભાવના જણાવાઇ હતી. તેમજ ઇરાનની સ્થાનિક મીડિયા અનુસાર તુર્કીના એક ડ્રોને ક્રેશ સાઈટ શોધી હતી.

ઈરાનના રાષ્ટ્રપતિનો મૃતદેહ મળ્યો

ઈરાનના પ્રેસ ટીવીએ કહ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રીનું પર્વતીય વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યાર બાદ પહાડોમાંથી રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીના મૃતદેહમળ્યા હતા. આ દુર્ઘટના બાદ પહેલી તસવીર સામે આવી છે, જેમાં ઈરાની નેતાઓના મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા છે.

ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો

ઈરાની મીડિયા દ્વારા ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયેલા જોવા મળે છે અને ચારેબાજુ કાટમાળ પડ્યો હોવાનું પણ દેખાઇ રહ્યું છે.

રઈસી સાથે હેલિકોપ્ટરમાં યાત્રા કરી રહેલા વિદેશ મંત્રી હુસૈન અમીરાબદુલ્લાહિયનને પણ મૃત્યુની માહિતી સામે આવી હતી. તેમજ જે હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો, તેમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો હતા.

ઈરાની એક ખાનગી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી સાથે હેલિકોપ્ટરમાં વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી, તબ્રિઝના રોયલ ઈમામ મોહમ્મદ અલી અલહાશેમ તેમજ પાઈલટ, સહ-પાઈલટ, ક્રૂ ચીફ, સુરક્ષા વડા અને એક સુરક્ષા ગાર્ડ બોર્ડ યાત્રા કરી રહ્યા હતા.

જણાવીદઇયે કે ઈરાનમાં રાષ્ટ્રપતિને સરકારના વડા કહેવામાં આવે છે જ્યારે સર્વોચ્ચ નેતાને રાજ્યના વડા કહેવામાં આવે છે. તેમજ એક અહેવાલ મુજબ ઈરાનમાં રાષ્ટ્રપતિનું અચાનક મૃત્યુ થાય તો બંધારણ મુજબ આ પદ ઉપરાષ્ટ્રપતિને સોંપવામાં આવે છે. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમનેઈની રાષ્ટ્રપતિ પદ ઉપ રાષ્ટ્રતિને સોંપવા માટે મંજૂરી આપશે. હાલ મોહમ્મદ મુખર્જી ઈરાનના ઉપરાષ્ટ્રપતિ છે. તેમણે પદ સંભાળ્યા બાદ આગામી 50 દિવસમાં ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

પીએમ મોદીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું, ‘ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રઇસીના દુઃખદ અવસાનથી હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના છે. તેમજ ભારત દુ:ખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.

To Top