Comments

સંગઠિત ખેડૂતો મૂલ્યવૃદ્ધિથી વિકાસ સાધે

વર્ષ ૨૦૨૧-૨૨ માં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ૨૦ ખેડૂતોએ સંકર ૪ જાતના કપાસનું વાવેતર કર્યું. કપાસની માવજત લેવામાં આ ખેડૂતોએ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મૅનેજમેન્ટની પદ્ધતિ અનુસાર ૫૦ ટકા સેન્દ્રિય ખાતર અને ૫૦ ટકા રાસાયણિક ખાતર અને દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો. આથી લાંબો તાંતણો ધરાવતા ૧૬,૦૦૦ કિલો કપાસનો ઉતારો મળ્યો. બજારભાવે કપાસિયા સાથેનું રૂ વેચી દેવામાં આવે તો ખેડૂતોને ૬ લાખની આવક થાય. પરંતુ કચ્છના આ ખેડૂતો કપાસમાંથી બીજ છૂટાં પાડીને ભૂજમાં જિનિંગ માટે લઈ ગયા. તે પછી મોરબી ખાતે મિલમાં યાર્ન, તાર તૈયાર કરાવી તે જ મિલમાં સફેદ રંગનાં ટી-શર્ટનું વિવિંગ કરાવ્યું. તેના પરિણામે ૨૦ ખેડૂતોના ૮૦૦ મણ કપાસમાંથી ૫૦૦૦ નંગ ટી-શર્ટ બન્યાં.

આ ટી-શર્ટના નિર્માણમાં રાસાયણિક પ્રક્રિયાનો શક્ય તેટલો ઓછો ઉપયોગ થયો હતો. આથી તેને “સેમીઑર્ગેનિક’નું પ્રમાણપત્ર મળ્યું અને બેલ્જિયમ ખાતે ઓકસફાર્મ દ્વારા એક ટી-શર્ટના રૂ.૧૧૦૦ લેખે ખરીદી કરાઈ. એટલું જ નહીં, પણ કપાસમાં વેલ્યૂ ઍડિશનના કાર્યથી પ્રભાવિત થયેલ વિદેશી વ્યાપારીઓએ બીજાં ૨૫,૦૦૦ ટી-શર્ટનો ઑર્ડર આપ્યો. ધરતીમાતાની ચાકરી કરનાર ગુજરાતનો ખેડૂત પેઢી દર પેઢીથી કપાસ ઉગાડે છે અને ગાંસડીઓ બાંધી વિદેશમાં નિકાસ કરે છે.

એક જમાનામાં માંચેસ્ટર ઉદ્યોગ જેના પર નભતો તેવા આપણા કપાસના ખેડૂતોની શક્તિ જોઈ ગાંધીજીએ સ્વરાજની ચળવળ સાથે રેંટિયાની વાત ઘર સુધી પહોંચાડી, ગરીબ માણસને સ્વાવલંબી બનાવવા ખાદીના વસ્ત્રને પ્રતિષ્ઠા આપી. પરંતુ રેંટિયાને એક તકનીક તરીકે સ્વીકારનાર ગાંધીનું તત્ત્વ તેમના તંત્રવાહકોની સમજણથી પર રહી ગયું. આથી ખાદીવસ્ત્ર મૂલ્યવૃદ્ધિની પ્રવૃત્તિ બનવાના બદલે સરકારી સબસિડી આધારિત કાર્યક્રમ બની ગયો. એટલું જ નહીં પણ ગુજરાતના ગાંધી- સર્વોદય પરિવારમાં શિરમોર શ્રી મનુભાઈ પંચોલીએ તો કહેવું પડ્યું, “આજની ખાદી એ ગાંધીની વિધવા માત્ર છે.”

કાળી મજૂરી કરી કુદરત સામે બાથ ભીડી કપાસ ઉગાડનાર ખેડૂતને એક મણ કપાસના રૂ.૧૮૦૦ થી રૂ.૨૦૦૦ મળે છે. તેમ માંડવીના આ ૨૦ ખેડૂતોને વ્યક્તિગત રીતે ૧.૬૦ લાખ મળ્યા હોત.  પરંતુ માંડવી સ્થિત એફ.પી.ઓ. દ્વારા આ કપાસને ધ્રાંગધ્રા ખાતે સજીવ ખેતી કપાસમાં જિનિંગ કરાવી યાર્નને નિટિંગ મશીન સુધી લઈ જવા માર્ગદર્શન મળ્યું. તેથી એક ખેડૂતને એકંદરે રૂ.૮૦,૦૦૦ની આવક મળી.  એટલું જ નહીં, પણ આગામી વર્ષ માટેના ટી-શર્ટના ઑર્ડર્સ વધુ રુચિકારક બનાવવા ખેડૂતો ટી-શર્ટને વેજિટેબલ ડાયમાં રંગી તેના પર કચ્છના કારીગરોના ભરતકામ અને છાપકામના રંગો પૂરશે. પરિણામે ખેડૂતોનો કપાસ વધુ રોજગારલક્ષી અને સુવાસિત બનશે.

ગુજરાત રાજ્યે ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન યોજી ખેતીના માળખામાં આધુનિકીકરણ લાવવા પ્રયત્ન કર્યા. આથી આપણી પરંપરાગત ખેતીના સ્થાને નવાં ઑજારો, બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ પ્રચલિત બન્યાં છે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનાં સ્નાતકો અને વિદ્યાપીઠોના રુરલ સ્ટડીઝનાં અનુસ્નાતકો દ્વારા સંચાલિત ખેતસેવા કેન્દ્રોએ દૂર-દરારનાં ગામડાંઓમાં ખેતીની નવી પદ્ધતિ પ્રચલિત કરી છે. આથી ગુજરાતનું ખેત- ઉત્પાદન આપણી જરૂરિયાતો સાથે બરાબરીની હરોળમાં આવ્યું છે.

તેથી આગળ વધી માંડવી એફ.પી.ઓ.એ ખેડૂતોના મિત્ર બની પોતાની ત્રણ એકર જમીન ઉપર ખેડૂતોની મગફળીમાંથી સારી જાતના દાણા અલગ કરી તેને પરદેશ મોકલવાની સેવા આપી છે. ખેડૂતો પોતાના સિંગદાણામાંથી તેલ અને ખોળ કઢાવી પોતાની મહેનતનું અધિક મૂલ્ય મેળવી શકે તેવી સાધનસુવિધા આપી છે. “પ્રામાણિક ધંધો અને વાજબી નફો”ની કાર્યપદ્ધતિથી ચાલતા માંડવીના ખેડૂતમંડળે ખેડૂતોનાં જૂનાં-નવાં સાધનોની લે-વેચની સેવા વિસ્તારી છે. પોતાનાં ૭ સેવા કેન્દ્રોથી આસપાસનાં ૩૦૦ ગામડાંઓને ખેતી આનુષંગિક સેવાઓથી આવરી લીધાં છે.

ખેતપેદાશમાં મૂલ્યવર્ધનની ત્રીજી હકીકત જોઈએ તો હવામાં લહેરાતું હળવું સિલ્ક સ્ત્રીઓનું મન મોહી લે છે અને પુરુષોનું ખિસ્સું ખંખેરી લે છે. આ સિલ્કનાં વસ્ત્ર બહુ રૂપાળાં હોય છે. પરંતુ અન્ય સૌંદર્યપ્રસાધનો માફક સિલ્કની બનાવટ અત્યંત ક્રૂર હોય છે, જેની જાણ ભાગ્યે જ કોઈ ગ્રાહકને હશે. શેતૂરના પાનનો ખોરાક ખાઈ પોતાને ૯૦ દિવસ માટે કોશેટામાં બાંધી રાખનાર ઇયળ પછીથી ફૂલો માટે રંગબેરંગી પતંગિયું હવામાં મૂકે છે અને આ પતંગિયું ફૂલોને ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

પરંતુ માણસ પોતાના સ્વાર્થ ખાતર આવા લાખો કોશેટાઓને ખદબદતા ગરમ પાણીમાં ઉકાળી રેશમનો તાંતણો છૂટો પાડી લે છે. અહીં કોશેટામાંથી સુંદર પતંગિયાની પ્રાકૃતિક સ્થિતિ તો અટકી જાય છે, પણ કરોડો જીવની હત્યા પણ થાય છે. આ સ્થિતિથી બચવા અમદાવાદ સ્થિત આઈ. આઈ. એમ.ના સહકારથી કચ્છનાં ખેડૂતોમાં એરંડાની ખેતી પ્રચલિત કરવામાં આવી છે. ખારા-ભાંભળા પાણીથી ઊછરતા ગુજરાત હાઇબ્રિડ એરંડા-૧ નામની વેરાઈટિવાળા આ દિવેલાને ઓછી માવજત આપવા છતાં તેમાં એરંડાનાં બીજનો માળ (લૂમખા) વધુ બેસે છે. તેના પાન ઉપર નભતી “બોબકસ મોરી” નામની ઇયળથી અહિંસક સિલ્ક બની શકે છે.

ઉપરાંત અડધા હોર્સ પાવરની મોટર કે ઓઈલ એન્જિન સાથે એક ચાફકટર ફિટ કરતાં તેનાં ડાળખાંના ભૂકામાંથી ઘરવપરાશ માટેનો કોલસો બનાવી શકાય છે.  એરંડાના તેલનો ઉપયોગ છેક નાયલોન રેઝિનના નિર્માણ સુધી પહોંચ્યો છે. સજીવ ખેતી પદ્ધતિથી તૈયાર થતા એરંડા તેલના ભાવ પણ ઘણા ઊંચા રહે છે. એટલું જ નહીં પણ એરંડાનો ખોળ એક ઉત્તમ સેન્દ્રિય ખાતર હોઈ ખેડૂતો હોંશે હોંશે પોતાની જમીનને તેનું ઉત્પાદન પાછું આપી ઋણમુક્તિનો આનંદ લે છે અને નવી સિઝને વધુ ઉત્પાદનની આશા બાંધે છે.

ખેડૂતને ધરતીપુત્ર અને જગતનો તાત જેવા શિરપાવ આપ્યા પછી તેની કંગાળ હાલત સામું જોવાની કોઈને ફુરસદ નથી ત્યારે કપાસના પુંભડાનું કુરતું બનાવનાર તેમજ એરંડાના છોડ પર સિલ્કના કાપડ અને નાયલોન રેઝિનની શોભા આપનાર કચ્છી માડુઓને સલામ ખપે છે. કચ્છની ખેતી નર્મદાનાં નીરની કાગડોળે રાહ જોઈ રહેલ છે અને ગુજરાતની ૧૮ લાખ હેકટર જમીન ઉપર નર્મદાનાં પાણી વહેશે ત્યારે વર્ષે ૧૪૦૦ કરોડનું ખેત-ઉત્પાદન બજારમાં પગરવ કરશે. તે વેળાએ જેમ ડુંગળીના પાકની દશા થાય છે તેવી અનેક પાકની બેહાલી થશે. “પાણીના પાપે ખેડૂતો અન્નની હોળી કરશે! તેવા માઠા દિવસો પણ મંડાશે.”

 પરંતુ એવો સમય દેખાય તે પહેલાં દક્ષિણ ગુજરાતનાં ટમેટાં, સૌરાષ્ટ્રની ડુંગળી, ચીકુ, કેરી અને બોર જેવી ગુજરાતની ફળ પેદાશો તેમજ શાકભાજીના ઉત્પાદનને વિજ્ઞાન અને મધ્યમ કદની તકનીકનો સમન્વય સાંપડે તો ખેડૂતોની મહેનત સાર્થક થાય. અન્યાયમુક્ત, પ્રદૂષણમુક્ત, સ્વાવલંબી સમાજની રચના થાય. નાનાં ગામડાંઓ ભાંગી જતાં મટે અને સ્વસ્થ સમાજની ગાંધીની કલ્પનાનો પાયો બંધાય. સૂતરના તાંતણે સ્વરાજની વાત લઈ ગુજરાત ગાંધીમેળાઓ યોજે છે ત્યારે શહેરી કલ્ચર દ્વારા વિકેન્દ્રિત ઉત્પાદનવ્યવસ્થા થકી ગાંધીવિચારનું દર્શન આપનાર એફ.પી.ઓ. જેવી વ્યવસ્થાઓને પણ હવે ગાંધીની સંસ્થા ગણવાનો સમય પાકી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top