નડિયાદ: નડિયાદ તાલુકાના સલુણવાંટા ગામની સીમમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પુરપાટ ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતાં કાર ઉછળીને આગળ જતી ટ્રક સાથે અથડાયાં બાદ પલ્ટી ખાઈને ઉંધી પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મિત્રો પૈકી એક મિત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. મોરબીમાં રહેતાં મધુરભાઈ હરજીવનભાઈ સરવડા તેમના મિત્રો ચિરાગ ચીમનભાઈ બાલ્ટા, વિશાલ હેમંતભાઈ ગોધાણી તેમજ અલ્પેશ ભીમજીભાઈ દઢાણીયા (રહે.અમદાવાદ) સાથે વર્ના ગાડી ધંધાના કામ અર્થે મુંબઈ ગયાં હતાં. જ્યાં કામકાજ પતાવ્યાં બાદ 15મી ડિસેમ્બરના રોજ રાત્રીના ચારેય મિત્રો ગાડી લઈને મુંબઈથી પરત અમદાવાદ આવવા નીકળ્યાં હતાં.
ગાડી મધુરભાઈ સરવડા ચલાવી રહ્યાં હતાં. તેઓ 16મી ડિસેમ્બર,22 ના રોજ વહેલી સવારના છ વાગ્યાના અરસામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના નડિયાદના સલુણવાંટાના જોશીપુરા સીમમાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ એકાએક ફાટ્યું હતું. જેથી ગાડીના ચાલક મધુરભાઈએ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર આગળ જતી ટ્રક સાથે અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીના ચાલક મધુરભાઈ તેમજ પાછળની સીટમાં બેઠેલાં ચિરાગ અને વિશાલભાઈને ઈજા પહોંચી હતી. જ્યારે ગાડીમાં ડ્રાઈવરસીટની બાજુમાં બેઠેલાં અલ્પેશ ભીમજીભાઈ દઢાણીયા (ઉ.વ.35)ને માથામાં અને અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે કારચાલક મધુરભાઈ સરવડા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
