ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં NTPCના વરિષ્ઠ અધિકારી કુમાર ગૌરવની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના કાટકમડાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફતાહ વિસ્તારમાં બની હતી જ્યાં હુમલાખોરોએ હુમલો કરીને ઘટનાને અંજામ આપ્યો હતો અને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. હત્યાની ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના આજે સવારે લગભગ 9.30 વાગ્યે હજારીબાગના કાટકમડાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફતાહા નજીક બની હતી. આ ઘટના અંગે હજારીબાગના એસપી અરવિંદ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના બાદ ગુનેગારોને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ડીજીએમ રેન્કના અધિકારી કુમાર ગૌરવને કેરેદારી ખાતે એનટીપીસીની ઓફિસમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. આજે શનિવારે સવારે તે ઓફિસ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન હુમલાખોરોએ રસ્તામાં તેમના પર ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયા હતા.
આ દરમિયાન ગોળી વાગવાથી કુમાર ગૌરવ ગંભીર રીતે ઘાયલ થયા. કુમાર ગૌરવને પીઠમાં ગોળી વાગી હતી. જ્યારે નજીકમાં હાજર લોકોએ આ જોયું તો તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. કુમાર ગૌરવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

NTPCના DGM રેન્કના અધિકારીની હત્યાની ઘટના બાદ NTPCના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. હજારીબાગના બરકાગાંવ અને કેરેદરી વિસ્તારોમાં NTPCના ઘણા કામો ચાલી રહ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓ પોતાને અહીં અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
ઘટના સ્થળ હજારીબાગ અને બરકાગાંવ વચ્ચેનો વિસ્તાર છે. આ વિસ્તારમાં લગભગ બે વર્ષ પહેલાં ઋત્વિક કંપનીના જીએમને ગુનેગારોએ ગોળી મારી હતી. આ ઘટના અંગે NTPC એસોસિએશનના પ્રમુખે કહ્યું કે મને આ ઘટના વિશે વધુ ખબર નથી પરંતુ જાણવા મળ્યું છે કે ગોળીબાર થયો હતો જેમાં કુમાર ગૌરવનું મોત થયું હતું. હું માંગ કરું છું કે સરકાર તેમના બાળકોને શિક્ષણ અને તેમના પરિવારોને નોકરીઓ આપે.