SURAT

વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુરતની DEO કચેરી પર NSUIનો હોબાળો

શહેરના ગોડાદરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાનો મામલે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. એબીવીપી (ABVP) બાદ એનએસયુઆઈ (NSUI) દ્વારા વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ NSUI અને યુથ કોંગ્રેસે (Youth Congress) શર્ટ કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

દીકરીને તો અધિકારી બનાવી ન શક્યા પરંતુ અમે અમારી ઈજ્જત તમને આપીએ છીએ તેમ કહી જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું.

શહેર એનએસયુઆઈ પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે, બાળકીને મેન્ટલી ટોર્ચર કરીને હેરાન કરવામાં આવતી હતી. જેથી તેણીએ આપઘાત કર્યો હતો. જેથી તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ઠાગ ઠૈયા થતાં હોવાથી અમે અર્ધનગ્ન થઈને ઈજ્જત ઉતારીને વિરોધ કર્યો છે. બાળકીના હિતમાં તેણીને ન્યાય મળે તે માટે થઈને અમે દેખાવો કરી રહ્યાં છીએ. અમારી બસ એક જ માગ છે કે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.

સુરેશ સુહાગિયાએ કહ્યું કે, શિક્ષણને ભાજપ સરકારે વ્યાપાર બનાવી દીધો છે. એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે અમારી માગ છે કે, આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. તાનાશાહી રીતે ફી ઉઘરાણી કરવામાં એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે જવાબદાર તમામને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે તેવી અમારી માંગ છે.

Most Popular

To Top