ઘણી વ્યકિતઓ જુવાનીમાં વૃદ્ધ હોય તેવાં દેખાય છે! કારણકે તેમની માનસિકતા જુનવાણી થઇ જાય છે. તમારામાં જોમ જુસ્સો ધગશ કાયમ રાખો. મોટી ઉંમરે પણ પ્રવૃત્તિમય જીવન જીવો તો તમારામાં વૃદ્ધત્વ આવશે નહિ. મહોલ્લાથી ફલેટ કે સમાજથી પ્રવૃત્તિમાં તમારામાં જે આવડત છે તે સમાજને પાછાં આપો. તેનાથી નવી નવી વ્યકિતઓના સંપર્કમાં આવશો. તમારામાં નવી વિચારસરણી આવશે. ઉપરોકત અનુસંધાનમાં એક દાખલો આપું. મેઘાલયથી 77 વર્ષની કમોઇન વાહલાંગે સાબિત કર્યું કે ઉંમર માત્ર એક અંક છે! 70 વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું અને હવે 100થી વધુ રેસ અને મેરેથોન પૂર્ણ કરી છે. 12 સંતાનો અને 50 થી વધુ પૌત્રી પુત્રની દાદી છે. આજની તારીખે તેઓ અનેક યુવા દોડવીરોને પણ પાછળ છોડી દે છે. દૈનિક પેપરના આધારે હાલમાં 70 વર્ષની બહેનો સ્વીમીંગ તથા ફોરવ્હીલર ગાડી ચલાવે છે.
સુરત – મહેશ આઇ. ડોકટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતની પ્રજાને કેમ લાભ નહીં?
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની શરણાઇ અને ઢોલ વાગી રહ્યા છે ત્યારે ફરી બંગાળમાં સત્તા મેળવવાના હેતુથી પ.બંગાળની પ્રજાને પ્રલોભન આપવાના ઉદ્રેશથી એવો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે જે અનુસાર જો પ.બંગાળમાં ભાજપ સત્તા પર આવશે તો તમામ મહિલાઓ અને બેરોજગાર યુવાનોને પ્રતિ માસ રૂા. 3000 તેમના ખાતામાં જમા આપવામાં આવશે. અહીં સમજવા જેવી બાબત એ છે કે જે રાજયોમા સરળતાથી અને વિમા પ્રયત્નોએ સત્તા મળતી હોય તે રાજયોની જનતાનું મહત્વ શૂન્ય છે. કારણ કે ગુજરાતની પ્રજાએ ખુબ જ લાંબા સમયથી ભાજપને સત્તા પર બિરાજમાન રાખી છે પરંતુ પ્રજાને શું આવા સંકલ્પ પત્રની જાહેરાત કદી સાંભળવા મળી છે. હવે જનતાએ જાગૃત થઇને તમામ પક્ષોને તેમનું મહત્વ સમજાવવાનો સમય આવી ગયો છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.