SURAT

આગામી 3 દિવસ સુરત સહિત દ. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, ફાયરે કંટ્રોલ રૂમ શરૂ કર્યો

સુરત: ગઈકાલે તા. 13મી મે ને સોમવારે ગુજરાત-મહારાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. મુંબઈમાં ધૂળના તોફાને ભારે તબાહી સર્જી હતી. આ તરફ ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં બરફનાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો.

સુરતમાં પણ આખા દિવસની કાળઝાળ ગરમી બાદ રાત્રે 10 વાગ્યે મિની વાવાઝોડું ફુંકાયં હતું. રાત્રિ દરમિયાન સુરતમાં 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાયો હતો, જેના લીધે 18 વૃક્ષ ધરાશાયી થયા હતા. આગામી દિવસોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે. ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલરૂમ ઊભું કરવામાં આવ્યું છે. ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દિપલ સ્કપાલએ કહ્યું કે, તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યાં છે. જેથી કોઈપણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય. સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

આ અગાઉ ગઈકાલે સોમવારે રાતે સુરત શહેરમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. જેના લીધે શહેરના અડાજણ, ડુમસ સહિત અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય કટ થયો હતો. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને લીધે ઠંડક પ્રસરી જતાં ગરમીમાં રાહત મળી હતી. માત્ર 2 કલાકમાં શહેરના તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થયો હતો. રાતે 8 કલાકે પારો 34 ડિગ્રી હતો જે 10 વાગ્યે ઘટીને 24 ડિગ્રી થઇ ગયો હતો.

માવઠાંના લીધે ઉનાળું પાકને નુકસાન, વળતર આપવા ખેડૂતોની માંગ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઉનાળું પાકને નુકસાન થયું છે. તલ, મગ સહિત બાગાયતી પાક અને કેરીને નુકસાન પહોંચ્યું છે. જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માગ કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે, સર્વે કરી સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ. હાલ તલ અને મગ પાક પર છે. જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે. વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ.

Most Popular

To Top