ભારતનું રહસ્યમયી ભવ્ય મંદિર!!

આ મંદિરના ધ્વજાજી પવનથી ઊંધી દિશામાં લહેરાય છે!

જગન્નાથ પુરી મંદિર હિંદુઓ માટે આસ્થાનું મોટું તીર્થસ્થાન છે. આ મંદિર તેની ભવ્યતા અને અદભૂત તથ્યોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આખા વર્ષ દરમિયાન ભક્તોનો ધસારો અહીં અવિરતપણે ચાલુ રહે છે. હિંદુ ધર્મ અનુસાર, જગન્નાથ પુરી ચાર ધામોમાંથી એક છે (બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી). કહેવાય છે કે જગન્નાથ પુરી મંદિરની ઘણી એવી વિશેષતાઓ છે જે તેને અલગ બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર સાથે જોડાયેલી ઘણી એવી વાર્તાઓ છે, જે સદીઓથી રહસ્ય બની રહી છે. એવું કહેવાય છે કે આ મંદિર ઉપરથી કોઈ વિમાન કે પક્ષી ઊડી શકતાં નથી! આ ઉપરાંત મંદિરની ટોચ પરનો ધ્વજ હંમેશાં પવનની સામે એટલે કે ઊંધી દિશામાં લહેરાતો રહે છે! પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની કાષ્ઠની મૂર્તિઓ છે.

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા ત્યારે તેઓ સૌ પ્રથમ બદ્રીનાથ પહોંચ્યા, જ્યાં તેમણે પ્રથમ સ્નાન કર્યું હતું. અહીંથી શ્રી હરિ ગુજરાતના દ્વારકા ગયા હતા, જ્યાં તેમણે કપડાં બદલ્યાં! આગળ પ્રભુ ઓડિશામાં પુરી પહોંચ્યા, જ્યાં તેમણે ભોજન લીધું અને અંતે ભગવાન વિષ્ણુ તમિલનાડુમાં રામેશ્વરમ ગયા, જ્યાં તેમણે આરામ કર્યો હતો! જગન્નાથ પુરીને હિંદુ ધર્મમાં પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે, તેનું વિશેષ મહત્ત્વ છે. અહીં ભગવાન કૃષ્ણ, સુભદ્રા અને બલરામની દરરોજ નિયમાનુસાર પૂજા કરવામાં આવે છે.

પુરી સાથે જોડાયેલી એવી માન્યતા છે કે, ભગવાન કૃષ્ણે શરીરનો ત્યાગ કર્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ શરીરના એક ભાગ સિવાય તેમનું આખું શરીર પાંચ તત્ત્વોમાં ભળી ગયું હતું.  કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય એક જીવતા માનવીની જેમ ધબકતું હતું, જે આજે પણ ભગવાન જગન્નાથની પ્રતિમાની અંદર છે! તમને કદાચ ખબર હશે કે, જગન્નાથ પુરી મંદિરમાં મળતાં પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે. કહેવાય છે કે તેની પાછળ એક ખાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસાદની વિશેષતા એ છે કે તેને માટીના વાસણમાં જ બનાવવામાં આવે છે. આ સિવાય આ પ્રસાદ ગેસ પર નહીં પરંતુ લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે.

જ્યારે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે પોટમાં એક બીજાની ટોચ પર મૂકવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે, ગરૂડ પક્ષી જગન્નાથ પુરી મંદિરની સંભાળ રાખે છે. તમને જણાવી દઈએ કે ગરૂડને પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. આ જ કારણ છે કે અન્ય પક્ષીઓ આ મંદિર ઉપર ઊડતા નથી. ખાસ વાત એ છે કે, પુરીના આ જગન્નાથ મંદિરની ઉપર આઠ ધાતુનું એક ચક્ર (ગોળાકાર) છે, જે નીલચક્ર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ ચક્ર મંદિરની ઉપરથી ઊડતાં વિમાનોમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે કોઈ વિમાન મંદિરની ઉપરથી ઊડી શકતું નથી!

આ મંદિર અન્ય મંદિરોથી અલગ કેમ છે, તેનો વધુ એક પુરાવો જોઈ લઈએ. તમે જોયું હશે કે સામાન્ય રીતે મંદિરની ઉપરનો ધ્વજ પવન જે દિશામાં હોય એ દિશામાં લહેરાતો રહે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે, જગન્નાથ પુરી મંદિરની ઉપરનો ધ્વજ હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં ઊડે છે! આ રહસ્ય વિશે આજ સુધી ખરેખર લોજિક શું છે એ સામે આવ્યું નથી. આ મંદિરની વધુ એક વિશેષતા એ છે કે, સામાન્ય રીતે મંદિરોમાં તમે એક કે બે દરવાજા જ જોયા હશે પરંતુ જગન્નાથ પુરીના મંદિરમાં ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે સિંહદ્વારમના દ્વાર પર સમુદ્રનાં મોજાંઓનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશતાની સાથે જ મોજાંનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે.

Most Popular

To Top