Gujarat

ભેદી રોગચાળામાં 13નાં મોત બાદ કચ્છમાં આરોગ્ય વિભાગે ઘરે ઘરે સર્વે શરૂ કર્યો

ગાંધીનગર : કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસની અંદર 12નાં મોત થયા બાદ આજે વધુ એકનું મોત થયું હતું. જેના પગલે રાજય સરકારે સમગ્ર ઘટનાના કારણોની તપાસ કરવા માટે આરોગ્ય વિભાગની સ્પેશિયલ ટીમ મોકલી છે.
કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો બહાર આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે સર્વે કામગીરી શરૂ કરી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેના પગલે જિલ્લાના ૧૩ સ્થાનિક લોકોનું અવસાન થયું છે. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં તારીખ ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી.

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાની આરોગ્ય વિભાગની કામગીરીની વિગતો આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગની ૨૭ ટીમ યુદ્ધના ધોરણે ‘હાઉસ ટુ હાઉસ સર્વે’નું કામ કરી ૩૧૮ ઘરો પૈકી ૨૨૩૪ લોકોનું આરોગ્ય લક્ષી સ્ક્રીનિંગ કર્યું હતું. જેમાં ૪૮ જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા. તાલુકામાં દરેક તાવના દર્દીઓનો મલેરિયા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે દર્દીઓ ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલા હતા અને એક દર્દી ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો.

તંત્ર દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ દરમ્યાન એન્ટી લારવલ એક્ટીવીટી તેમજ ૧૯૫૫ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમિક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ, મેડિકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં મૃતકો અને તેમના આજુ બાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓના વધુ તપાસ માટે લોહીના અને ગળા-નાકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

તા. ૦૮ સપ્ટેમ્બર ૨૪ના રોજ રાજકોટ અને અદાણી મેડિકલ કોલેજની ટીમ દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ સાથે થયેલ કામગીરીની અને વધુ કાર્યવાહી કરવા માટે બેઠક કરવામાં આવી હતી. અદાણી મેડિકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા કરેલ ઇન્વેસ્ટિગેશન કેસોનું બ્લડ સેમ્પલ, સીઝનલ ફલુ, કોવીડ-૧૯ અને બ્લડ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં ૧૧ દર્દી પૈકી એક દર્દી સિઝનલ ફલુ ( H3N2)પોઝિટિવ આવ્યો હતો. તેમજ તમામ ૧૧ સેમ્પલ કોવિડ-૧૯ નેગટીવ આવ્યા હતા. જે સેમ્પલ મેડિકલ કોલેજ રાજકોટ, ICMR NIV Pune ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

મેલેરિયા ડેન્ગ્યુ અને સિઝનલ ફલુ પોઝિટિવ આવેલ તમામ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે. લખપત અને અબડાસાના ૦૬ ગામોમાં આલ્ફા સાઈફરમેથરીન IRS અને મેલેથિયન છંટકાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ ગામોની શાળાઓમાં મેડિકલ ઓફિસરની ટીમો દ્વારા વિઝીટ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓફિસની ટીમ દ્વારા ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સધન સર્વલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. સીઝનલ ફલુ અને મેલેરિયાની તમામ દવાઓ અને લોજીસ્ટીક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુ ટીમ માટે અન્ય તાલુકા માંથી પણ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની પ્રતિનિયુક્તિ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top