SURAT

સુરતમાં 13 મહિનાના બાળકનું રહસ્યમય મૃત્યુ, પરિવારે કહ્યું, ત્રણ દિવસથી ખાંસી-તાવ હતા…

સુરત : શહેરમાં વધુ એક માસૂમ શિશુનું અકાળ રહસ્યમયી મૃત્યુ નિપજ્યું છે. શહેરના પાંડેસરા ચીકુવાડીમાં 13 મહિનાના માસુમનું માતાનું ધાવણ લીધા બાદ તબિયત બગડતા મોત થયું છે. પરિવારે કહ્યું હતું કે 3 દિવસથી ખાંસી અને સામાન્ય તાવ આવતો હતો. ઘર નજીકના ડોક્ટરની સારવાર ચાલી રહી હતી. બાળકના રહસ્યમયી મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પરિવારે જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર ના વતની છે. 4 મહિના પહેલા સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. કડીયા કામ કરી એક ના એક માસુમ દીકરા સાથે ગુજરાન ચલાવી રહ્યા હતા. માસુમ ઓમપ્રકાશ છેલ્લાં 3-4 દિવસથી ખાંસીમાં સપડાયો હતો. સામાન્ય તાવ પણ આવતો હતો. આજે સવારે તબિયત બગડતા સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે વહેલી સવારે 4 વાગે માતા એ ધાવણ કરાવ્યા બાદ ઓમપ્રકાશ સુઈ ગયો હતો. સવારે જાગ્યા બાદ એની તબિયત બગડી હતી. જેથી સિવિલ લઈ આવ્યા હતા. જોકે કોઈ સારવાર મળે એ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

બે દિવસ પહેલાં 3 મહિનાના બાળકનું મોત થયું હતું
બે દિવસ પહેલાં તા. 16 જાન્યુઆરીના રોજ શહેરમાં રહસ્યમયી રીતે 3 મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું. મૂળ મહારાષ્ટ્રના વતની, જાકિર શેખ હાલ ભેસ્તાન આવાસમાં પત્ની, બે પુત્રી તેમજ એક પુત્ર અહેમદ (3 માસ) સાથે રહે છે. જાકિર ટેમ્પોમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જાકીરના સંતાન પૈકી અહેમદને સોમવારે રાત્રે તેની માતા ધાવણ કરાવ્યા બાદ સુવડાવી દીધો હતો. વહેલી સવારે પરિવાર ઊઠીને અહેમદને ઉઠાવ્યો હતો. તેમજ રાતભર અહેમદએ કોઈ હલનચલન કર્યું ન હતું.

જેથી પરિવારજનો તેને સારવાર માટે ઉન ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ડોકટર હાજર મળ્યા ન હતા. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અહેમદનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. જેથી તેના મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. માતાના ધાવણ બાદ દૂધ શ્વાસ નળીમાં જતું રહેવાથી તેનું મોત નિપજ્યું હોવાનું ડોકટરે સંભાવના વ્યક્ત કરી હતી.

Most Popular

To Top