સુરતઃ વરસાદના પહેલાં જ રાઉન્ડમાં શહેરમાંથી પસાર થતી ખાડી છલકાતા આવેલા ખાડીપૂર મામલે છેલ્લાં કેટલાંય દિવસોથી ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે આ મામલે સુરત મનપાની સામાન્ય સભા ગાજી હતી.
વિપક્ષના સભ્યો આજે 22 જુલાઈના રોજ આયોજિત સામાન્ય સભામાં ભાગ લેવા સુરત મનપા કચેરીમાં કીચડવાળા ગંદા કપડાં પહેરીને આવતા રાજકારણ ગરમાયું હતું. સભાના દ્વાર પર જ વિપક્ષના સભ્યોને અટકાવાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

બાદમાં સામાન્ય સભામાં વિપક્ષે ખાડીપૂર મામલે ભાજપ પર આક્ષેપો કરતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના કોર્પોરેટર દીપેન દેસાઈ આપના વિપુલ સુહાગિયાને લાફો મારવા દોડ્યા હતા, જેના લીધે હોબાળો મચી ગયો હતો. આ હોબાળાના પગલે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા, ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાયા હતા.
વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા
સામાન્ય સભા પહેલાં વિપક્ષે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં ખાડીપૂર કોણ લાવ્યું.., કોણ લાવ્યું.., ભાજપ લાવ્યું.., ભાજપ લાવ્યું.., સુરતને પાણીમાં કોણે ડુબાડ્યું.., ભાજપે ડુબાડ્યું..ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

વ્રજેશ ઉનડકટને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો બગડ્યો
સામાન્ય સભામાં કુંદન કોઠિયા ડ્રેનેજ સમિતિ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ વ્રજેશ ઉનડકટને વચ્ચે બોલતા અટકાવ્યા હતા અને તેમને લારી ગલ્લાના ચેરમેન કહેતા મામલો બગડ્યો હતો. મેયરે વિપુલ સુહાગિયાને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.
વિપક્ષે શું આક્ષેપ કર્યો?
વિપક્ષે વિરોધ કરતા કહ્યું કે, ભાજપ ત્રિપલ એન્જિનની વાત કરે છે પરંતુ અહીં તો અમારો અનુભવ એવા છે કે અહીં માત્ર ડબ્બા છે. એન્જિન તો છે જ નહીં. એન્જિન હોય તો કામ થાય પરંતુ કોઈપણ પ્રકારનું કામ થતું નથી.