તા. 27 જૂનને અષાઢ સુદ બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. સુરતના જહાંગીરપુરાના ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા પાછલા કેટલાંય દાયકાઓથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે સુરત રેલવે સ્ટેશનથી રથયાત્રામાં બિરાજમાન થઈ પ્રભુ ફરવા નીકળશે તે રાત્રિના સમયે ઈસ્કોન મંદિર પર પહોંચશે. તંત્ર દ્વારા રથયાત્રા માટેની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે.
સુરત શહેરમાં જગન્નાથજી રથયાત્રાનો ધાર્મિક તહેવાર હિન્દુ ધર્મનાં લોકો દ્વારા દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે અને આ પર્વ દરમ્યાન તા. 27 જૂનનાં રોજ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સહારા દરવાજા બ્રિજ નીચેથી રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટથી અઠવાગેટથી સરદાર બ્રિજ થઇને ગુજરાત ગેસ સર્કલથી ચોક્સીવાડી, ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટીયાથી રામનગર થઇ મોરાભાગળથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે.
સુરત શહેરના રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ મુખ્યમાર્ગ ઉપરથી રથયાત્રા પસાર થાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મનાં લોકો જોડાતા હોવાથી અને મુખ્ય માર્ગ ઉપર વાહનોની મોટી સખ્યામાં અવર-જવરના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાની શકયતા છે. જેથી જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી અને સુચારૂ રીતે થઇ શકે તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે આ રૂટ ઉપર તા. 27 જૂનની સવારે 6 વાગ્યા થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ભારે વાહનોની અવર-જવર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
આ માર્ગો પર ભારે વાહનો અવજવર કરી શકશે નહીં. તે ઉપરાંત સુરત મનપા દ્વારા બીઆરટીએસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી રથયાત્રા અવરોધાય નહીં અને મુસાફરોને પણ કોઈ તકલીફ પડે નહીં.
જગન્નાથ રથયાત્રાના રૂટ પરથી પસાર થતા તમામ સીટી તથા BRTS રૂટોને અસર થનાર હોઈ તા.27 જૂનના રોજ સુરત મહાનગરપાલિકા ધ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવામાં નીચે મુજબના ફેરફાર કરવામાં આવનાર છે.