National

PM Cares: કોરોનાના કારણે અનાથ બાળકોની મદદ સંબંધિત અડધાથી વધુ અરજીઓ ફગાવી દેવાઈ

નવી દિલ્હી: (New Delhi) કોરોના વાયરસના ચેપ દરમિયાન ઘણા બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે. આવા બાળકોને મદદ કરવા માટે સરકારે ‘પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ’ શરૂ કરી હતી. હવે અધિકારીઓની વાત માનીએ તો આ યોજના હેઠળ મળેલી 51 ટકા અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ (PMCCS)ની જાહેરાત સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 29 મે 2021ના રોજ કરવામાં આવી હતી. આ અંતર્ગત એવા બાળકોને મદદ પૂરી પાડવામાં આવશે જેમના માતા-પિતા અથવા તેમના બંને કાયદેસર વાલીનું કોરોના રોગચાળાને કારણે મૃત્યુ થયું છે. આ યોજનાના લાભાર્થીઓ નક્કી કરવા માટે મોદી સરકારે નક્કી કરેલી કટઓફ તારીખ 11 માર્ચ 2020 થી 29 મે 2023 સુધીની હતી. એટલે કે જે બાળકોએ આ સમયગાળા દરમિયાન તેમના માતા-પિતા અથવા કાનૂની વાલી ગુમાવ્યા છે તેમને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ ઉપલબ્ધ તમામ મદદ આપવામાં આવશે.

નવ હજારથી વધુ અરજીઓ મળી હતી
સત્તાવાર માહિતી અનુસાર આ યોજના હેઠળ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 613 જિલ્લાઓમાંથી કુલ 9,331 અરજીઓ મળી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારી દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 558 જિલ્લાઓમાંથી માત્ર 4,532 અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જ્યારે 4,781 રિજેક્ટ થઈ હતી. 18 અરજીઓ પેન્ડિંગ છે આ અરજીઓને નકારી કાઢવા માટે મંત્રાલય દ્વારા કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. જે રાજ્યોમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે તેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ છે. અહીં અનુક્રમે 1,553, 1,511 અને 1,007 અરજીઓ મળી હતી. મહારાષ્ટ્રમાંથી 855, રાજસ્થાનમાંથી 210 અને ઉત્તર પ્રદેશમાંથી 467 અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ શું છે?
આ યોજનાનો ઉદ્દેશ્ય બાળકોની સતત વ્યાપક સંભાળ અને રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આરોગ્ય વીમા દ્વારા તેમના સ્વાસ્થ્યની કાળજી લેવી, શિક્ષણ દ્વારા તેમને સશક્તિકરણ કરવું અને 23 વર્ષની વય સુધી નાણાકીય સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોની નોંધણી માટે pmcaresforchildren.in નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. બાળકોને આપવામાં આવેલી તમામ મદદનો હિસાબ પણ આ પોર્ટલ પરથી મેળવવામાં આવ્યો હતો.

Most Popular

To Top