Gujarat

સરદાર સરોવર ડેમમાં 52%થી વધુ, જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 34%થી વધુ જળસંગ્રહ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૭૫,૬૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૫૮ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૯૧,૬૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૪.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

સચિવાલયના જળ સંપતિ વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-૨ તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૪૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૭.૭૮ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૬૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૭.૭૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે . અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલેકે, વર્ષ ૨૦૨૩માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૬૦.૧૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૩.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૦.૬૬ ટકા, કચ્છના ૨૦માં ૬૩.૮૫ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો.

Most Popular

To Top