National

શપથ લેતા જ મોદી એક્શન મોડમાં, આ મહત્વની ફાઇલ પર સહી કરી ખેડૂતોને આપી પ્રથમ ભેટ

નવી દિલ્હી: પીએમ પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે 10 જૂનના રોજ ​​વડાપ્રધાન તરીકે પોતાનો કાર્યભાર (Task) સંભાળી લીધો છે. ત્યારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ (Oath) લીધા બાદ મોદીએ આજે ​​સૌથી પહેલા એક મહત્વની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વડાપ્રધાને દેશના ખેડૂતોને (Farmers) મોટી રાહત આપી હતી. તેમજ ખેડૂતોના પક્ષમાં મોટો નિર્ણય લીધો હતો.

પીએમ મોદીએ સોમવારે ઔપચારિક રીતે વડાપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલો પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે જ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલને લીલી ઝંડી આપવામાં આવી હતી. જેના અંતર્ગત લગભગ 20 હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

મોદી સતત ત્રીજી વખત PM બન્યા, હવે વિભાગની વહેંચણી પર ફોકસ
વડાપ્રધાન મોદીએ રવિવારે સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા અને આજે સવારે જ સાઉથ બ્લોક સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યભાર સંભાળ્યો હતો. સરકાર બન્યા બાદ મોદી હવે વિભાગોની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે જ મોદી કેબિનેટની પ્રથમ બેઠક આજે જ મળવાની સંભાવના છે.

સંપૂર્ણપણે ખેડૂતોને સમર્પિત યોજના
આ નિર્ણય લીધા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે, તેથી યોગ્ય છે કે કાર્યભાર સંભાળ્યા બાદ મારી પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણ સાથે સંબંધિત હોવી જોઈએ. આવનારા સમયમાં અમારી સરકાર ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવા માંગે છે.

17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો
ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટે તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે રૂ. 20,000 કરોડ ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં આપવામાં આવશે.

મોદી કેબિનેટ એક્શન મોડમાં
મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પહેલા મોટા નિર્ણયમાં, મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવી શકે છે. તે જ સમયે, અન્ય એક મોટા નિર્ણય હેઠળ, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા હતા. તેમજ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના નવા કેબિનેટ સાથે શપથ લીધા હતા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ રહેશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું હતું. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.

Most Popular

To Top