Charchapatra

જ્ઞાતિવાદ અને કોમવાદમાં લગ્ન

લગ્ન અને ધર્મ વ્યક્તિગત સમજણના વિષયો છે. તેની ધર્મના કટ્ટર લોકો વગર બોલાવ્યે દાખલ થઇ જઇ, વિવાદ ઊભો કરી દે છે. વર્ષો પહેલાં પંજાબમાં દરેક શીખ કુટુંબમાં એક છોકરાને હિંદુ તરીકે ઉછરેવામાં આવતો. પછી હિંદુ ધર્મમાં જે રીતે કટ્ટરતા આવતી ગઇ, તેમ તેમ એ પ્રથા બંધ થતી ગઈ. અમારા એક સગાની પી.એચ.ડી. થયેલી દીકરી એક મુસ્લિમ યુવાનના સંપર્કમાં આવી. એ તો વળી ગ્રેજયુએટ પણ ન હતો, છતાં બંને પરણી ગયાં અને આજે સુખી છે.સૈયદપુરામાં એક યુવતીને રોજ સામેની મસ્જીદમાં નમાજ પઢવા આવતા યુવાન સાથે પ્રેમ થઇ ગયો.

પરણી ગયાં. પરંતુ યુવતીની શાંતિવાળાઓને વાંધો પડયો. તકરાર જેવું વાતાવરણ પેદા થયું એટલે મુસ્લિમ કટુંબે કહ્યું ‘તમારે એ છોકરીને લઇ જવી હોય તો લઇ જાવ અને પેલો લઇ પણ આવ્યા. પછી પોલીસે બધાને ભેગા કરી પૂછયું ‘ચાલો તમે મને લઇ તો આવ્યા છો, હવે મારી સાથે લગ્ન કરવા કોણ તૈયાર છે? હું તૈયાર છું’ બધા ત્યાંથી છટકી ગયા અને પેલી પાછી મુસ્લિમ કુટુંબમાં ચાલી ગઈ, જીવી ત્યાં સુધી એ લોકોએ તેની સંભાળ રાખી. નવનિર્માણનું આંદોલન 1974-75માં થયું. બારડોલીના કોલેજીયન છોકરા છોકરી એક બીજા સાથે સંપર્કમાં આવ્યાં. એમાં એક પટેલ યુવતીને સોનગઢ તાલુકાના એક આદિવાસી યુવાન જોડે પ્રેમ થઇ ગયો, બંને પરણી ગયાં.

પટેલ કુટુંબને તો ભારે માનસિક ત્રાસ થઇ ગયો. તેમણે મને અરજી કરી પોતાની દીકરી પોતાને સોંપવા અરજ કરી. મેં તે અરજીની સુનાવણી વ્યારા ખાતે મારી ઓફિસમાં રાખી. છોકરીને મારી ઓફિસના દરવાજા બંધ કરી, મેં પૂછયું, ‘તારે કોની સાથે જવું છે. મા-બાપ સાથે કે પતિ જોડે? ‘તો પેલી કહે ‘સાહેબ, મારે તો મારા ધણી સાથે જ જવું છે. ’મેં મારો નિર્ણય જણાવ્યો અને મારી ઓફિસ આગળ તો મરણ જેવો માહોલ સર્જાયો, રડારડી થઇ, મા બાપ અને કુટુંબીઓ તો પોક મૂકી રડયાં. મેં સોનગઢના ફોજદારને પોતાની જીપમાં દંપતીને સોનગઢના ગામે મોકલી આપ્યાં.

ઘણી વાર આવું પણ બને છે, જે સ્વીકારી લીધા વિના છૂટકો નથી. પુખ્ત વયની વ્યક્તિઓ ઇચ્છે તે ધર્મ કે જીવનસાથી પસંદ કરે, જોખમ ઉઠાવી નિર્ણય કરે તેમાં હિંદુત્વના હામીઓ કૂદી પડે છે. બ્રાહ્મણ,વાણિયા કોઇ સવાલ નથી ઉઠાવતા, હિંદુ સમાજમાં પુરાતન જમાનામાં જેમના પૂર્વજો તિરસ્કૃત થયેલા એવા શુદ્રો એટલે કે ઓ.બી.સી.નું હિંદુ ધર્મના નામે નાક કપાઈ જાય છે. તેમને મુસ્લિમ યુવતિઓ બુરખો પહેરે તેમાં જબરજસ્ત વાંધો હોય છે, પરંતુ પોતાની જ દીકરીઓ અર્ધી જાંઘ દેખાડતી સરેઆમ ફરે છે, તેમાં હિંદુત્વની લાજ જતી લાગતી નથી. પોતાનું ફરજંદ સુધારી વાત કરો.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top