નવસારીના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિએ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અચાનક જ એક 50 ફૂટ ઊંચી ટાવર રાઈડ તૂટી પડતાં રાઈડમાં સવાર અંદાજે 10માંથી બે બાળકો સહીત 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી રાઈડ ઓપરેટરની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લાના બીલીમોરામાં ભગવાન સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મેળો ભરાય છે. મંદિર પરિસરની જગ્યામાં ચગડોળ સહિતની વિવિધ રાઈડ્સ પણ લગાવવામાં આવી છે. ભગવાન સોમનાથનાં દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ફરીને મનોરંજન માણે છે, ત્યારે ગત મોડી રાત્રિએ 10.40 વાગ્યાની આજુબાજુ અંદાજે 50 ફૂટ ઊંચા ટાવર સમાન લોખંડના પિલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ, જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે. જે ઉપર ગયા બાદ નીચે ઊતરતાં રાઈડનો કેબલ તૂટી જતાં સ્પીડમાં નીચે પટકાતાં અફરાતફરી મચી ગઈ હતી.

આ અકસ્માતમાં રાઈડમાં અંદાજે 10થી વધુ લોકો મજા માણી રહ્યા હતા. તેઓ ધડામ કરીને નીચે પટકાતાં તમામને નાની-મોટી ઈજા થઈ હતી. જેમાં બે મહિલા, બે બાળકો અને રાઈડ ઓપરેટર ગંભીર રીતે ઘવાતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં કમરમાં વધુ માર વાગતાં જશ રાજીવ ટેડલ (ઉ.વ.14), દીર્ઘ હેમંત ટંડેલ (ઉં.વ.14), રોશની વિકાસ પટેલ (ઉં.વ.30) અને દિશા રાકેશ પટેલ (ઉં.વ.21)ને બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે રાઈડ ઓપરેટર બકીલને કમર તેમજ માથામાં પણ ઈજા હોવાથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ બીલીમોરા ફાયરના જવાનો અને બીલીમોરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમના દ્વારા માત્ર મેદાન ભાડે આપવામાં આવ્યું છે. રાઈડની ટેકનિકલ ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત તંત્રની હતી.
સુરક્ષાના નિયમોના પાલન પર સવાલ ઉઠ્યા
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મેળામાં ટાવર રાઈડ તૂટી પડતાં મેળા અને એમાં આવેલી રાઈડ્સની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે મેળાની મંજૂરી જિલ્લા કલેક્ટર કચેરીના મનોરંજન વિભાગમાંથી લેવાની હોય છે. જેમાં પણ રાજ્ય સરકારના નિયમોનું પાલન થયું છે કેમ? નિયમોનું પાલન થયું કે રાઇડ્સની યોગ્ય ચકાસણી કર્યા બાદ શરૂ કરવામાં આવી કે પછી નિયમ નેવે મૂકીને રાઈડ ચાલતી હતી એ તમામ મુદ્દે તપાસ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવે એવી લાગણી પ્રવર્તી રહી છે. બીલીમોરા પોલીસે હાલ ઘાયલોનાં નિવેદનો લઈ અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.