ડાંગના જંગલની ગુજરાત રાજ્ય તરફની કિનારાની બધી જ જમીન સરકારે આદિવાસીઓને આપી દેવાની જાહેરાત કરી ત્યારે આદિવાસીઓ માટે કાર્યકર્તા ભીલ આશ્રમના એક નવા કાર્યકરને આ જમીન જોવા અને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા. કાર્યકર ઉત્સાહ સાથે તપાસ કરવા ગયો પરંતુ સાંજે તે પાછો આવ્યો ત્યારે મોઢું સાવ નાનું થયેલું, અવાજમાં હતાશા અને તેણે જાહેરાત કરી કે, ‘‘સરકારે આપણી સાથે મજાક કરી છે ત્યાં એવી કોઈ જમીન છે જ નહીં.’’ બધાને નવાઈ લાગી. સરકારી જાહેરાત અને જરૂરી કાગળિયાં બધું જ તેમની પાસે હતું તો પછી આવું કઈ રીતે શક્ય બને. બીજે દિવસે સવારે વડીલ કાર્યકરો, મુખ્ય કાર્યકર પ્રમુખ, અનુભવી આદિવાસીઓ અને પેલો નવો કાર્યકર બધા જ નિયત કરેલા સ્થળ પર ગયા. પોતાની પાસેનાં કાગળિયાંમાં જણાવેલ જમીન માપણી નંબર હેઠળની જમીનોની તપાસ કરી જમીન તો ત્યાં હતી જ. મુખ્ય કાર્યકરે નવા કાર્યકરને પૂછ્યું, ‘‘ભાઈ, આ શું? બરાબર તપાસ કરી હતી કે પછી તપાસ કરવા ગયો જ ન હતો.
આ બધી આપણી પાસે જે માપણી નંબર છે તે જ જમીનો છે. આ ચારે તરફનો વિસ્તાર આપણો છે.’’ કાર્યકર બોલ્યો, ‘‘પરંતુ મોટા ભાઈ, આ તો ખાડા ટેકરા અને ઝાડી ઝાંખરાવાળો જંગલનો ભાગ છે. ખેતીલાયક જમીન ક્યાં છે?’’ મુખ્ય કાર્યકર બોલ્યા, ‘‘અરે ગાંડાભાઈ, ભલે ખાડા ટેકરાવાળી પણ આ જમીન તો છે ને…અને જો તે ખેતીલાયક ન હોય તો આપણે તેને મહેનત કરીને ખેતીલાયક બનાવીશું.’’વડીલ આદિવાસી બોલ્યા, ‘‘થોડાક ટેકરા દૂર કરવાના… જંગલી ઝાડોનાં મૂળિયાં કાઢી નાંખવાનાં… વાવણી માટે જમીન ખેડવાની અને જમીન મળી છે તો તેને યોગ્ય બનાવવાની મહેનત આપણે કરવાની.’’ બસ, બધાં જ આદિવાસીઓ મુખ્ય કાર્યકરની સૂચના હેઠળ કામે લાગી ગયાં.
મહિનાઓની મહેનત બાદ તેને ખેતીલાયક બનાવી થોડા વખતમાં તે હરિયાળી ભોમમાં રૂપાંતરિત થઈ ગઈ. કોઈ પણ જમીન લીલીછમ કરવા દીર્ઘદૃષ્ટિ અથવા મહેનત અને મજૂરી કરવાની તૈયારી જોઈએ. સ્વયં આપણા જીવનને પણ જો લીલુંછમ કરવું હોય તો ખામી અને ભૂલોના ખાડા ટેકરા દૂર કરવા પડે. સખત મહેનત કરવી પડે. આળસ અને વ્યસન જેવાં ઝાડી ઝાંખરાંને મૂળથી ઉખાડી નાંખવાં પડે. પુરુષાર્થ વડે જમીન પણ લીલીછમ બનાવી શકાય અને પુરુષાર્થ અને મહેનતથી આપણું જીવન પણ લીલુંછમ બનાવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.