SURAT

સુરત: પ્રેમિકાના પતિ અને ભાઈએ ફટકારતા 19 વર્ષીય યુવકનું મોત

સુરત: શહેરમાં એક યુવકનું રાત્રે ઉંઘમાં જ મોત નિપજ્યું હોવાનો ચકચારી બનાવ બન્યો છે. આ યુવકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં તપાસ કરતા અનૈતિક પ્રેમસંબંધનો ખુલાસો થયો હતો. પરિણીતા સાથેના અનૈતિક પ્રેમસંબંધનો ભાંડો ફૂટતા પ્રેમી યુવકે જીવ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં મૃતકની પરિણીત પ્રેમિકાના પતિ સહિત બેની અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રૂદરપરાની કુબેરદાસ વાડીનો અને છેલ્લાં કેટલાંય સમયથી ભટારમાં રહેતા 19 વર્ષીય દિપેશ સંજ્ય રાઠોડનું ગઈ તા. 2 જુલાઈની સવારે ઉંઘમાંથી જાગ્યો નહોતો. તેને કશું થઈ ગયું હોવાની આશંકા સાથે પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં દિપેશની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરતા તેના શરીરે મૂઢ માર દ્વારા થયેલી ઈજાના નિશાન હતા. હત્યા થઈ હોવાની આશંકા સાથે તબીબોએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે આ કેસમાં તપાસ કરતા અનૈતિક પ્રેમસંબંધનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, દિપેશને રૂદરપુરાની કુબેરદાસની વાડી નવા ખાડી રોડ પર રહેતા હર્ષદ કહારની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. હર્ષદની પત્ની દિપેશ સાથે વોટ્સએપ કોલ પર વાત કરતી હતી ત્યારે હર્ષદ જોઈ ગયો હતો. બાદમાં હર્ષદ અને તેના મોટા ભાઈ ધર્મેશ કહારે દિપેશને મળવા માટે કુબેરદાસની વાડીમાં તા. 1 જુલાઈની રાતે બોલાવ્યો હતો, જ્યાં બંને ભાઈઓએ દિપેશને રાત્રિના 23.45 કલાકે જાહેરમાં માર માર્યો હતો. માર ખાધા બાદ દિપેશ ઘરે જતો રહ્યો હતો અને કોઈને કશું કહ્યા વિના ઊંઘી ગયો હતો. સવારે તે જાગતા નહીં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે કહ્યું, આ કેસમાં હર્ષદ અને તેના મોટા ભાઈ ધર્મેશ કહાર શંકાના દાયરામાં હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બંને આરોપીઓ હર્ષદભાઈ જશવંતભાઈ કહાર (ઉં.વ.47 રહે. ઘર નં.૨/૨૨૯૯, કુબેરદાસનીવાડી રૂદરપુરા સુરત અને ધર્મેશભાઈ જશવંતભાઈ કહાર (ઉં.વ.49 રહે.ઘર નં.૨/૨૨૯૯, રૂમ નં.૦૭, કુબેરદાસનીવાડી રૂદરપુરા સુરત)ને કાદરશાની નાળ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંનેએ દિપેશને માર માર્યો હોવાની કબૂલાત કરી લીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હર્ષદનું મોતનું સાચું કારણ જાણી શકાશે.

Most Popular

To Top