National

યુપી વિધાનસભામાં લવ જેહાદ બિલ પાસ, દોષિત સાબિત થાય તો આજીવન કેદ

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ (સુધારા) બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. આમાં જ્યારે પહેલાથી નિર્ધારિત ગુનાઓની સજા બમણી કરવામાં આવી છે ત્યારે નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આજીવન કેદની જોગવાઈ છે. આ કાયદા હેઠળ ધર્મ પરિવર્તન માટે ભંડોળ પણ અપરાધના દાયરામાં લાવવામાં આવ્યું છે. આમાં વિદેશી સંસ્થાઓ અથવા કોઈપણ ગેરકાયદેસર સંસ્થા પાસેથી ભંડોળ પણ સામેલ છે. જો કોઈ વ્યક્તિ ધર્મ બદલવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ પર દબાણ કરે છે, હુમલો કરે છે, બળનો ઉપયોગ કરે છે અથવા વચન આપે છે અથવા લગ્ન કરવાનું કાવતરું કરે છે, તો તેણે આજીવન કેદની સજા સાથે દંડની રકમ પણ ચૂકવવી પડશે.

આ બિલ અનુસાર, કોર્ટ પીડિતના સારવાર ખર્ચ અને પુનર્વસન માટે દંડ તરીકે યોગ્ય રકમ નક્કી કરી શકશે. સરકારનું કહેવું છે કે અપરાધ, મહિલાઓની ગરિમા અને સામાજિક દરજ્જાની સંવેદનશીલતાને કારણે, મહિલાઓના ગેરકાયદેસર ધર્માંતરણ, એસસી-એસટી વગેરેનું ગેરકાયદેસર ધર્મ પરિવર્તન રોકવા માટે એવું લાગ્યું કે સજા અને દંડને વધુ કડક બનાવવાની જરૂર છે. તેથી આ સુધારો બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

કેટલી સજા વધી
છેતરપિંડીથી ધર્મ પરિવર્તનના દોષિતોને હવે 3-10 વર્ષની સજા થઈ શકશે. જ્યારે 25 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ 1-5 વર્ષની જેલ અને 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. હવે જો સગીર, એસસી-એસટી મહિલા વિરુદ્ધ ગુનો કરવામાં આવે છે તો સજા 5-14 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. અગાઉ 2-10 વર્ષની જેલ અને 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. ગેરકાયદે સામૂહિક ધર્માંતરણ માટે ગુનેગારને 7-14 વર્ષની જેલ અને કોર્ટમાંથી 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. અગાઉ સજાની જોગવાઈ 3-10 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની હતી. 

આ ગુનાઓનો સુધારામાં સમાવેશ કરવામાં આવ્યો
બિલ સુધારામાં ઘણા નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈ વિકલાંગ અથવા માનસિક રીતે નબળા વ્યક્તિને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવામાં આવે છે તો તેને 5-14 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાના દંડની સજા થશે. ગેરકાયદે ધર્માંતરણ માટે વિદેશી ફંડિંગ પર 7-14 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન માટે માનવ તસ્કરીમાં સંડોવાયેલા લોકોને પચીસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. 

Most Popular

To Top